Get The App

અસીલ સાથેની વાત જાહેર કરવા વકીલ પર પોલીસ દબાણ ન કરી શકેઃ હાઈકોર્ટ

Updated: Nov 7th, 2025

GS TEAM

Google News
Google News
અસીલ સાથેની વાત જાહેર કરવા વકીલ પર પોલીસ દબાણ ન કરી શકેઃ હાઈકોર્ટ 1 - image

માટુંગાના પોલીસ અધિકારીને ૨૦ હજારનો દંડ  

એક વૃદ્ધના વકીલને પોલીસે ઓછામાં ઓછી છ નોટિસ ફટકારતાં હાઈકોર્ટ નારાજ  ઃ  આમ તો ક્યારેય કોઈ વકીલ કેસ હાથ નહિ ધરી શકે

 મુંબઈ - મંગળવારે બોમ્બે હાઈકોર્ટે એક પોલીસ અધિકારી પર ૨૦,૦૦૦ રૃપિયાનો દંડ ફટકારતા સ્પષ્ટ કર્યું કે પોલીસ વકીલોને તેમના ક્લાયન્ટ્સ સાથેના 'વિશેષાધિકાર' સંદેશાવ્યવહારની વિગતો જાહેર કરવા માટે આગ્રહ કરી શકે નહીં. જસ્ટિસ રેવતી મોહિતે-ડેરે અને સંદેશ પાટિલની ડિવિઝન બેન્ચ એ વાતથી નારાજ થઈ કે મુંબઈના માટુંગા પોલીસ સ્ટેશનના એક અધિકારીએ એક વરિષ્ટ નાગરિકનું પ્રતિનિધિત્વ કરતા બે વકીલોને ઓછામાં ઓછી છ નોટિસ ફટકારી છે. વકિલો વરિષ્ઠ નાગરિકના પુત્ર દ્વારા દાખલ કરાયેલી એફઆઈઆર સંબંધિત કેસમાં તેના વકીલ હતા.

' ક્લાયન્ટ - એડવોકેટ પરામર્શ અથવા સંદેશાવ્યવહાર માટે, તમે આવી નોટિસો જારી કરો છો... અમે તે સહન કરી શકતા નથી... આ બધા વિશેષાધિકૃત સંદેશાવ્યવહાર છે.. તમે આવી માહિતી માટે આગ્રહ કરી શકો નહીં..'ન્યાયાધીશ મોહિતે-ડેરેએ મૌખિક રીતે ટિપ્પણી કરી હતી. ન્યાયાધીશોએ કોર્ટમાં હાજર રહેલા અધિકારી પાસેથી જાણવા માંગ્યું કે તેઓ બે વકીલો પાસેથી ખરેખર શું જાણવા માંગે છે, જેમને તેમણે ઓછામાં ઓછી છ નોટિસ મોકલી હતી.

તેમના ક્લાયન્ટનો બચાવ કરનારા વકીલ પાસેથી તેઓ કઈ માહિતીની અપેક્ષા રાખતા હતા... શું તમે બધા (પોલીસ) એ વાતની સીમા નથી સમજતા કે એક વકીલની ભૂમિકા શું છે... એક વકીલને આવી નોટિસ જારી ન કરી શકાય જેમાં તેમને પૂછવામાં આવે કે તેમના ક્લાયન્ટ્સે તેમના પર શું વિશ્વાસ મૂક્યો છે? તમે ફક્ત મનોરંજન માટે નોટિસ જારી કરવાનુંં કષ્ટ કર્યું નથી... અમે જાણવા માંગીએ છીએ કે તેણે નોટિસ શા માટે જારી કરી? એમ  ન્યાયાધીશોએ અવલોકન કર્યું હતું.

ન્યાયાધીશોએ સુપ્રીમ કોર્ટના તાજેતરના ચુકાદાનો ઉલ્લેખ પણ કર્યો હતો જેમાં કેસ અને સંબંધિત મુદ્દાઓની તપાસ દરમિયાન કાનૂની અભિપ્રાય આપનારા અથવા પક્ષકારોનું પ્રતિનિધિત્વ કરતા વકીલોને સમન્સ મોકલવા અંગેનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો , જેમાં સુપ્રીમ કોર્ટે આ મુદ્દા પર માર્ગદશકા નક્કી કરી હતી.

 'આ ગંભીર ચિંતાનો વિષય છે...જો આ રીતે ચાલશે, તો કોઈ પણ વકીલ ક્યારેય કોઈ વ્યક્તિનું પ્રતિનિધિત્વ કરી શકશે નહીં...આ પરોક્ષ રીતે એ સુનિશ્ચિત કરવાનો પ્રયાસ છે કે વકીલ ક્લાયન્ટ માટે હાજર ન થાય...આ વારંવાર થઈ રહ્યું છે...આ રીતે, વકીલો બ્રીફ સ્વીકારશે નહીં...તમારા અધિકારી વકીલને દબાણ કરવાનો પ્રયાસ કરી રહ્યા છે...અમે આ કૃત્યને માફ કરવાના નથી...તમે કોઈપણ વકીલને ડરાવી શકતા નથી.' એમ ન્યાયાધીશ મોહિતે-ડેરે ભારપૂર્વક જણાવ્યું.

બેન્ચે વધુમાં ભાર મૂક્યો કે કોઈપણ કેસની તપાસ કરતી વખતે પોલીસે સ્વતંત્ર, નિષ્પક્ષ અને ન્યાયી રહેવું જોઈએ અને આપેલ કેસની તપાસ કેવી રીતે કરવી તે અંગે કોઈ પણ વ્યક્તિ દ્વારા પક્ષપાતી અને માર્ગદર્શન અથવા પ્રેરિત હોવું જોઈએ. પક્ષો લડી શકે છે પણ પોલીસ કોઈનો પક્ષ લઈ શકતી નથી... પોલીસ કોઈ પક્ષની યુક્તિઓનો શિકાર બની શકતી નથી, એમ ન્યાયાધીશોએ કહ્યું.   ન્યાયાધીશોએ અધિકારી પર ૨૦,૦૦૦ રૃપિયાનો દંડ લાદ્યો અને સ્પષ્ટ કર્યું કે ઉપરોક્ત રકમ તેમણે પોતાના ખિસ્સામાંથી ચૂકવવાની રહેશે. આ રકમ બાર કાઉન્સિલ ઓફ મહારાષ્ટ્ર એન્ડ ગોવાને ચૂકવવાનો આદેશ આપવામાં આવ્યો છે. જ્યારે  અતિરક્ત સરકારી વકીલ વિઠ્ઠલ કોંડે-દેશમુખે ન્યાયાધીશોને વિનંતી કરી કે અધિકારીએ 'બિનશરતી માફી માંગી લીધી હોવાથી દંડ ન લાદવામાં આવે, ત્યારે ન્યાયાધીશ મોહિતે-ડેરેએ જવાબ આપ્યો,  'દિલગીરી કેમ કેમ? નુકસાન થઈ જ ગયું છે.અમે આવા કૃત્યને માફ કરી શકતા નથી.'

ન્યાયાધીશોએ રાજ્યને વધુમાં નિર્દેશ આપ્યો કે કેસ અને સંબંધિત મુદ્દાઓની તપાસ દરમિયાન કાનૂની અભિપ્રાય આપનારા અથવા પક્ષકારોનું પ્રતિનિધિત્વ કરતા વકીલોને સમન્સિંગ કેસમાં સર્વોેચ્ચ અદાલત દ્વારા આપવામાં આવેલા ચુકાદાની નકલ પોલીસના તમામ સ્તરોને મોકલવામાં આવે જેથી ભવિષ્યમાં કોઈપણ વકીલને આવી નોટિસ ફરીથી જારી ન થાય.