પીએમસી બેન્ક કૌભાંડમાં હિસાબોમાં ચેડાં કરી કરોડોનો ખોટો નફો દર્શાવાયો
ઈડીની ચાર્જશીટ અને ફોરેન્સિક ઓડિટમાં ચોંકાવનારી વિગત
લોન પાછીન આવી તેવાં એકાઉન્ટસને પણ એનપીએ જાહેર ન કરાયાં ઃવ્યાજની બાકી રકમને આવક બતાવાઈ
મુંબઈ - પંજાબ એન્ડ મહારાષ્ટ્ર કોઓપરેટિવ (પીએમસી) બેન્ક કૌભાંડમાં મુંબઈ પોલીસની આર્થિક ગુના શાખાએ દાખલ કરેલા આરોપનામા અને ગ્રાન્ટ થોર્નટન દ્વારા થયેલા ફોરેન્સિક ઓડિટમાં બેન્કની કથળેલી આર્થિક સ્થિતિને છુપાવવા ઊંડું કાવતરું બહાર આવ્યું છેે. તપાસમાં જણાયું છે કે બેન્કના વરિષ્ઠ અધિકારીઓએ પદ્ધતિસર બેન્કિંગના નિયમોનો ભંગ કર્યો છે. અનેક ડિફોલ્ટિંગ એકાઉન્ટ્સને નોન પરફોર્મિંગ અસેટ્સ (એનપીએ) તરીકે વર્ગિકૃત કરવાનું હેતુપૂર્વક ટાળવામાં આવ્યા હતા અને ફાઈનાન્શિયલ રેકોર્ડ્સ સાથે ચેડાં કરીને ખોટી રીતે નફો દર્શાવાયો હતો.
ચાર્જશીટમાં જણાવાયું છે કે આરબીઆઈ ઓડિટમાં ગેરરીતિ પકડાઈ નહીં ત્યાં સુધી અનેક લોન ખાતા પરના વ્યાજની ચૂકવણી બાકી હોવા છતાં એનપીએ જાહેર કરાયા નહોતા. બેન્કે રૃ.૩૨૭૧.૮૪ કરોડની વ્યાજની બાકી રહેલી રકમને આવક બતાવી હતી જે આરબીઆઈના નિયમ વિરુદ્ધ છે. ઓડિટર્સને જણાયું હતું કે પીએમસી બેન્કે સતત છેલ્લા પાંચ વર્ષમાં મહેસૂલના આંકડા વધારે દર્શાવ્યા હતા. કરોડોની રકમ ખોટી રીતે આવક તરીકે દર્શાવાઈ હતી.
પીએમસી બેન્કના મેનેજમેન્ટ દ્વારા પદ્ધતિસર કવર અપ કરવાથી ડિપોઝીટર્સના લાખોની ઠગાઈ થઈ છે એટલું જ નહીં પણ ભારતના કોઓપરેટિવ બેન્કિંગ ક્ષેત્રમાં વિશ્વસનિયતાને મોટો ફટકો પડયો છે. તપાસને પગલે કૌભાંડમાં સંડોવાયેલા લોકો સામે કડક પગલાંની માગણી તીવ્ર બનાવાઈ છે અને મજબૂત આર્થિક દૂરદેશીની તાકીદની આવશ્યકતા પર ભાર મૂકાયો છે.