What Is Mumbai One App?: પ્રાઇમ મિનિસ્ટર નરેન્દ્ર મોદી દ્વારા હાલમાં જ ‘મુંબઈ વન’ ઍપ્લિકેશન લોન્ચ કરવામાં આવી છે. આ ભારતનું પહેલું ઇન્ટિગ્રેટેડ મોબિલિટી પ્લેટફોર્મ છે. આ ઍપ્લિકેશનમાં મુંબઈની મેટ્રો લાઇન 1, 2A, 3 અને 7ની સાથે મુંબઈ મોનોરેલ, નવી મુંબઈ મેટ્રો અને મુંબઈના સબર્બન રેલવે(મુંબઈ લોકલ)નો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. આ ઍપ્લિકેશનમાં બસ નેટવર્ક જેમ કે બેસ્ટ, થાને મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ, મિરા ભાયંદર, કલ્યાણ-ડોમ્બિવલી અને નવી મુંબઈ ટ્રાન્સપોર્ટનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. મુંબઈ મેટ્રોપોલિટન રીજન ડેવલપમેન્ટ ઑથોરિટી(MMRDA)નું લક્ષ્ય છે કે મુસાફર મુંબઈમાં 59 મિનિટની અંદર એક જગ્યાએથી બીજી જગ્યાએ પહોંચી શકે. આ પ્લાન હેઠળ ઍપ્લિકેશનને લોન્ચ કરવામાં આવી છે.
આ ઍપ્લિકેશનનું મહત્ત્વનું ફીચર શું છે?
મુસાફરની મુસાફરીને વધુ સરળ બનાવવો એ આ મુંબઈ વનનો મુખ્ય હેતુ છે. એક QR કોડની મદદથી યુઝર્સ પ્લાનિંગ, બુકિંગ અને ટ્રાવેલિંગ જેવી દરેક બાબતો એમાં આવી જાય છે. આ ઍપ્લિકેશનને કારણે યુઝરે હવે એક કરતાં વધુ ઍપ્લિકેશનનો ઉપયોગ કરવાની સાથે અલગ-અલગ ટિકિટ લેવાની પણ જરૂર નહીં પડે. તેમ જ એને કારણે કેશલેસ ટ્રાન્ઝેક્શન પણ હવે શક્ય બન્યું છે. ટ્રેન અને બસ ડીલે થઈ હોય તો આ ઍપ્લિકેશનમાં એને જોઈ શકાશે. આ સાથે જ કોઈ જગ્યા પર જવું હોય તો અલગ રૂટ અને ત્યાં પહોંચવા માટે કેટલો સમય લાગશે એ પણ દેખાડશે. આ સાથે જ એ વાતની ખાતરી રાખવામાં આવશે કે યુઝર્સને તેમની મુસાફરી માટેની દરેક માહિતી સમયસર મળી રહે.
મેપ આધારિત ઇન્ટરફેસ અને SOS ફીચર
મુંબઈ વન ઍપ્લિકેશનમાં મેપ આધારિત ઇન્ટરફેસ છે. એમાં નજીકનું સ્ટેશન, ટુરિસ્ટ એટ્રેક્શન અને અન્ય ખૂબ જ જાણીતી જગ્યાઓ વિશેની માહિતી જોવા મળશે. એમાં પેસેન્જરની સેફ્ટી માટે SOS ફીચર પણ આપવામાં આવ્યું છે જેથી ઇમરજન્સીમાં એનો ઉપયોગ કરી શકાશે. મલ્ટીપલ ટ્રાન્સપોર્ટ સિસ્ટમ માટે એક જ ડિજિટલ ટિકિટની જરૂર પડશે. આ ટિકિટ મુસાફરને મેટ્રો, ટ્રેન અને બસમાં ટ્રાવેલ કરવા માટે કામ આવશે. એક જ મુસાફરીમાં ટ્રેન અને મેટ્રો બન્નેનો ઉપયોગ કરનાર મુસાફર માટે આ ખૂબ જ સારું ફીચર છે.
ડિજિટલ ઇન્ડિયા વિઝન સાથે સુસંગત
પ્રાઇમ મિનિસ્ટર નરેન્દ્ર મોદીનું વિઝન ડિજિટલ ઇન્ડિયા હેઠળ આ ઍપ્લિકેશન બનાવવામાં આવી છે. ભારતના નાગરિકોની રોજિંદી લાઇફ સુધારવા માટે આ એપમાં એવી ટૅક્નોલૉજીનો ઉપયોગ કરવામાં આવ્યો છે કે તેમની મુસાફરી સરળતાથી થાય. આ ઍપ્લિકેશનમાં એક કરતાં વધારે ટ્રાન્સપોર્ટ સિસ્ટમનો સમાવેશ કરવામાં આવ્યો હોવાથી યુઝર્સનો સમયનો બચાવ થશે. તેમને ટ્રાવેલ માટે વધુ સારી સુવિધાઓ મળશે. તેમ જ રોજના લાખો-કરોડો લોકો ટ્રાવેલ કરે છે તેમના માટે ખૂબ જ સરળ પ્રોસેસ રહેશે. લોકોની ભીડ ઓછી થાય અને સરળતાથી શહેરમાં લોકો ફરી શકે એ મુંબઈ વનનો ઉદ્દેશ છે.
મેટ્રો લાઇન 3 અને નવી મુંબઈ ઇન્ટરનેશનલ ઍરપોર્ટનું પણ ઉદ્ઘાટન
નરેન્દ્ર મોદી દ્વારા મુંબઈ વન ઍપ્લિકેશન લોન્ચ કરવાની સાથે મુંબઈની મેટ્રો લાઇન 3 (કોલાબા-બાંદ્રા-SEEPZ) અને નવી મુંબઈ ઇન્ટરનેશનલ ઍરપોર્ટનું પણ ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. આ ઍરપોર્ટ ₹19650 કરોડ રૂપિયાના ખર્ચે બનાવવામાં આવ્યું છે. તેમ જ એક વર્ષમાં અંદાજે 90 મિલિયન લોકો મુસાફરી કરશે એવો અંદાજ છે. આ ઍરપોર્ટ છત્રપતિ શિવાજી મહારાજ ઇન્ટરનેશનલ ઍરપોર્ટની સાથે મળીને કામ કરશે જેથી કનેક્ટિવિટી લોકોને સારી મળી રહે.


