નિદા ખાનને આગોતરા જામીન ફગાવતા આદેશમાં કોર્ટની ટિપ્પણી
નિદાની પ્રથમ દ્રષ્ટિએ સંડોવણી જણાય છે, કેસના મૂળ સુધી જવા કસ્ટોડિયલ પૂછપરછ જરુરી
મુંબઈ - ટીસીએસ કેસમાં મુખ્ય આરોપીઓમાંની એક નિદા ખાનની આગોતરા જામીન અરજી ફગાવતાં કોર્ટે ટિપ્પણી કરી હતી કે પીડિતાને સંગઠિત પ્રયાસો દ્વારા બ્રેઈનવોશ કરવા અને તેને મલેશિયા મોકલવાની વ્યવસ્થિત યોજના હોવાનું જણાય છે, જ્યારે ગયા અઠવાડિયે કથિત જાતીય સતામણી અને બળજબરીથી ધર્માંતરણ સંબંધિત કેસમાં ટીસીએસ કર્મચારી નિદા ખાનને ધરપકડ પૂર્વે જામીન આપવાનો ઇનકાર કર્યો હતો.
ગુનાની તીવ્રતા ખરેખર બહુ-સ્તરીય છે અને કેસના મૂળ સુધી જવા માટે કસ્ટોડિયલ પૂછપરછ જરૃરી હતી,એમ કોર્ટે ખાનની અરજીને યોગ્યતા વિનાની ગણાવતા કહ્યું.
સોમવારે ઉપલબ્ધ થયેલા તર્કસંગત આદેશમાં વધારાના સેશન્સ જજ (નાસિક રોડ), કે.જી. જોશીએ નોંધ્યું હતું કે રેકોર્ડ પરની સામગ્રી દર્શાવે છે કે પીડિતાનું નામ બદલ્યા પછી, આરોપી તેને મલેશિયા મોકલવા માંગતો હતો.
ફરિયાદ પક્ષે ખાનની કસ્ટડીમાં પૂછપરછની જરૃરિયાત પર ભાર મૂક્યા બાદ કોર્ટે બીજી મેના રોજ ખાનની અરજી ફગાવી દીધી હતી.
એફઆઈઆર મુજબ, ખાને કથિત રીતે મહિલા કર્મચારીઓને ઇસ્લામિક પરંપરાઓ અનુસાર પોશાક પહેરવાની અને વર્તન કરવાની સલાહ આપી હતી. તેણે ગર્ભાવસ્થાનું કારણ આપીને ધરપકડ પૂર્વે જામીન માંગી હતી.
પ્રાથમિક દ્રષ્ટિએ, એવું લાગે છે કે અરજદારની ભૂમિકાનો ખાસ ઉલ્લેખ (એફઆઈઆરમાં) કરવામાં આવ્યો છે અને સંડોવણી પણ જોવામાં આવી છે,એમ આદેશમાં જણાવાયું છે.
દેવલાલી પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ચોક્કસ કેસમાં ખાન અને બે અન્ય સહ-આરોપી, દાનિશ શેખ અને તૌસિફ, જેઓ ટીસીએસના નાસિક યુનિટમાં પીડિતાના સાથી હતા, તેમના પર લગ્નના ખોટા વચન પર જાતીય સંભોગ, જાતીય સતામણી અને ધામક લાગણીઓને ઠેસ પહોંચાડવાના આરોપસર ભારતીય ન્યાય સંહિતાની સંબંધિત જોગવાઈઓ હેઠળ કેસ દાખલ કરવામાં આવ્યો છે.
કોર્ટે ભારપૂર્વક જણાવ્યું હતું કે પીડિત પર અનુચિત પ્રભાવ, કોઈ ચોક્કસ ધર્મનું અનુપાલન અથવા ધમકી આપીને દબાણ કરવા અથવા અન્યથા તેના પર અયોગ્ય પ્રભાવ પાડવા અંગે વિગતવાર તપાસ જરૃરી છે.
કથિત ગુનાની ગંભીરતા અને તીવ્રતા, અરજદારની ભૂમિકા અને સ્થાયી કાનૂની સિદ્ધાંતોને ધ્યાનમાં લેતા, તે આગોતરા જામીન માટે યોગ્ય કેસ નથી,એમ આદેશમાં જણાવાયું છે.


