નવી મુંબઈના ખારઘરના ડુંગર પર દીપડો દેખાતાં ગભરાટ

તકેદારીના ભાગરુપે પિંજરા ગોઠવવા માગણી
ખારઘરના ડુંગર પર ફરતો જોવા મળેલો દીપડો ક્યાંક શહેરમાં ન આવી ચડે એવી ચિંતા
પીએમઓ દ્વારા દીપડાની સમસ્યાની નોંધ લેવામાં આવી
મુંબઈ - પુણે, નાસિક, અહિલ્યાનગર જિલ્લામાં દીપડાએ કેર વર્તાવ્યો છે ત્યારે બીજી તરફ નવી મુંબઈના ખારઘર વિસ્તારમાં દીપડાએ દેખા દેતા સ્થાનિકોમાં ગભરાટ ફેલાયો છે.
ખારઘરના ડુંગરાળ વિસ્તારમાં દીપડો જોવા મળતા સ્થાનિકોએ વન વિભાગને તાત્કાલિક પગલાં લેવાની અપીલ કરી છે. સામાન્ય રીતે દીપડા કૂતરાનો શિકાર કરવા માટે માનવ વસતિમાં આવી જતા હોય છે. એટલે ખારઘરના રહેવાસીઓના મનમાં એજ ડર છે કે અત્યારે ડુંગરાળ વિસ્તારમાં ફરતો દીપડો શિકારની શોધમાં ખારઘર કે આસપાસના વિસ્તારમાં પગપેસારો કરશે તો જોખમ ઉભું થશે. એટલે અત્યારે જ દીપડાને પકડવા માટે છટકાં અને પીંજરા ગોઠવવાની જરૃર છે એમ સ્થાનિકોએ જણાવ્યું હતું.
મહારાષ્ટ્રમાં દીપડા અને માનવ વચ્ચેના સંઘર્ષની ગંભીર બનેલી સમસ્યાની વડાપ્રધાન કાર્યાલય (પી.એમ.ઓ.) દ્વારા નોંધ લેવામાં આવી છે.
પ્રાણી- માનવ વચ્ચેના સંઘર્ષને નિવારવા માટે નવી મુંબઈના નેટ- કનેક્ટ ફાઉન્ડેશન તરફથી વાઈલ્ડ લાઈફ પોલીસીમાં સુધારણા માટે અપીલ કરવામાં આવી હતી. આ અપીલને પગલે પ્રાઈમ મિનિસ્ટર ઓફિસ (પીએમઓ) તરફથી ઘટતાં પગલાં લેવા માટે આ બાબત નેશનલ ટાઈગર કન્ઝર્વેશન ઓથોરિટીને સોંપી છે.
પુણે જિલ્લામાં માનવભક્ષી ગણાવીને એક દીપડાને ફોરેસ્ટ ખાતાએ ઠાર કર્યો તેને પગલે નેટ- કનેકટ ફાઉન્ડેશને વાઈલ્ડ લાઈફ પોલીસીમાં સુધારણા કરવાની અપીલ કરવામાં આવી હતી. અપીલમાં જણાવ્યા મુજબ જંગલો કપાતા જાય છે અને તેની જગ્યાએ ઘરો બંધાતા જાય છે. આમ જોવા જઈએ તો જંગલ વિસ્તારમાં માણસની ઘૂસણખોરી વધી રહી છે. જંગલ વિસ્તાર ઘટતો જતો હોવાથી પ્રાણીઓને શિકાર નથી મળતો અને તે શિકારની શોધમાં માનવ વસતિમાં આવી ચડે છે. એટલે વાઈલ્ડ લાઈફ પોલીસીમાં ધરમૂળથી ફેરફાર કરવાની જરૃર છે.

