પંઢરપૂર સ્થિત વિઠ્ઠલ મંદિરમાં ઓનલાઈન પાસ બૂકિંગની શરત રદ્દ
નાના બાળકો, વૃદ્ધો તેમજ સગર્ભા મહિલાઓને મંદિરમાં પ્રવેશબંધી કાયમ
મુંબઈ તા. 20 જાન્યુઆરી, 2021, બુધવાર
કોરોનાને કારણે સુરક્ષાની દ્રષ્ટિએ ઓનલાઈન દર્શન પાસ બૂકિંગ કરી આવનાર ભાવિકોને જ વિઠ્ઠલ-રુક્મિણીના દર્શનની શરત પંઢરપૂરના શ્રી વિઠ્ઠલ રુક્મિણી મંદિર સમિતીએ લાગુ કરી હતી. પરંતુ કોરોનાનો પ્રાદુર્ભાવ ઘટતાં ઓનલાઈન દર્શન પાસ બૂકિંગની શરત મંદિર સમિતીએ રદ્દ કરી છે. ૨૦ જાન્યુઆરીથી મંદિરમાં તમામને પ્રવેશ મળશે. માત્ર કોરોનાથી સુરક્ષા બાબતે તમામ નિયમાવલિનું પાલન કરવાનું રહેશે. નાના બાળકો, ૬૫ વર્ષથી વધુના વ્યક્તિ તેમજ ગર્ભવતી મહિલાને મંદિરમાં પ્રવેશ મળશે નહીં. તેમજ ભાવિકોએ પોતાના ઓળખપત્ર સાથે લાવવાના રહેશે. તેમજ પહેલાંની જેમ ઓનલાઈન પાસ બૂકિંગની સર્વિસ પણ ચાલું રહેશે. આથી ભાવિકો તેમના સમયાનુસાર બૂકિંગ કરીને આવી શકે, એવી માહિતી મંદિર સમિતિના અધિકારીઓએ આપી છે.