નામચીન ગુંડા અમોલ ખોતકરનું પોલીસ એન્કાઉન્ટરમાં મોત
સંભાજીનગરના ઉદ્યોગપતિના ઘરે છ કરોડ રૃપિયાનો દરોડો પાડનાર
પકડવા ગયેલી પોલીસ ટીમને કચડી મારવાનો પ્રયાસ કર્યો
મુંબઇ - છત્રપતિ સંભાજીનગરના એક પ્રખ્યાત ઉદ્યોગપતિ લડ્ડાના ઘરે દરોડો પાડનાર એક નામચીન ગુંડા અમોલ ખોતકરનું પોલીસ એન્કાઉન્ટરમાં મોત થયું હતું. આ ઘટના સોમવારે રાત્રે વડગાવ કોલ્હારી વિસ્તારમાં બની હતી. પોલીસની એક ટીમ જ્યારે ખોતકરને પકડવા ગઇ ત્યારે તેણે તેની એસયુવી હેઠળ પોલીસને કચડી મારવાનો પ્રયાસ કર્યો હતો. બે અઠવાડિયા પહેલા જ છત્રપતિ સંભાજીનગરના વાળુજ વિસ્તારના એક અગ્રણી ઉદ્યોગપતિ લડ્ડાના ઘર પર મોટો દરોડો પાડવામાં આવ્યો હતો. જેમાં સાડા છ કિલો વજનના સોના-ચાંદીના દાગીના અને રોકડ રકમ મળી કૂલ છ કરોડ રૃપિયાની લૂંટ ચલાવવામાં આવી હતી.
આ સંદર્ભે પ્રાપ્ત વધુ વિગતાનુસાર લડ્ડા તેમના ૭મેના રોજ કુટુંબીજનો સાથે અમેરિકા ગયા હતા. લડ્ડાએ તેમના ૧૯ વર્ષ જૂના વિશ્વાસુ કર્મચારી સંજય ઝળકેને બંગલાની દેખભાળ માટે કેરટેકરનું કામ સોપ્યું હતું. ૧૫ મેના રોજ વહેલી સવારે ૨ થી ૪ દરમિયાન છ દરોડાખોરો લડ્ડાના બંગલા પર ત્રાટક્યા હતા અને પિસ્તોલની ધાકે સાડા પાંચ કિલો સોનું, ૩૨ કિલો ચાંદી અને અમૂક રોકડ મળી કુલ છ કરોડ રૃપિયાની લૂંટ ચલાવી હતી. આ ઘટનાને લીધે ખળભળાટ મચી ગયો હતો.
આ બાબતે વાળુજ- એમઆઇડીસી પોલીસ મથકમાં ગુનાની નોંધ કરવામાં આવી હતી અને ક્રાઇમ બ્રાન્ચની ટીમ આ દરોડો પ્રકરણે તપાસ ચલાવી રહી હતી. આ લોકોએ વિવિધ પોલીસોની મળી કુલ નવ ટીમ બનાવી હતી. પોલીસે આ ઘટનાની તપાસ કરી પાંચ જણને તાબામાં લીધા હતા. જોકે દરોડાનો મુખ્ય સૂત્રધાર ફરાર થઇ ગયો હતો. તેને પકડવા જ પોલીસની ટીમ ગઇ હતી. જોકે પોલીસે આ બાબતે અત્યંત ગુપ્તતા જાળવી હતી. ગઇકાલે રાત્રે આ કેસના શકમંદ મુખ્ય આરોપી ખોતકરને પોલીસે શોધી કાઢ્યો હતો અને તેને પકડવાનો પ્રયાસ કર્યો ત્યારે તેણે તેની એસયુવી પોલીસોની તરફ દોડાવી હતી અને પોલીસને કચડી મારવાનો પ્રયાસ કર્યો હતો. ત્યાર બાદ ખોતકરે તેની રિવોલ્વરમાંથી પોલીસ પર ગોળીબાર કર્યો હતો. અંતે પોલીસે સ્વરક્ષણ દરમિયાન ખોતકરનું એન્કાઉન્ટર કરી નાંખ્યું હતું.
ખોતકર સાથેના એન્કાઉન્ટરમાં ઝખમી થયેલા પોલીસ કર્મચારીઓ પર સ્થાનિક હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. અને પોલીસકર્મીઓની તબિયત સ્થિર હોવાનું જાણવા મળ્યું છે.