Mumbai

કબૂતરખાના બંધ કરવાનો આદેશ અમે આપ્યો જ નથી - હાઈકોર્ટ

By GS TEAM
8 Aug 20252 mins read
કબૂતરખાના બંધ કરવાનો આદેશ અમે  આપ્યો જ નથી - હાઈકોર્ટ

કબૂરતર ખાના બંધ કરવા ના પાલિકાના નિર્ણય સામે સ્ટે  જ નકાર્યો હતો 

જોકે, જાહેર જનતાના આરોગ્ય પર માઠી અસર થતી હોય તો જનહિતને ધ્યાને લેવું જોઈએઃ  તબીબી અભ્યાસ માટે નિષ્ણાત કમિટીનો આદેશ

કેટલાક લોકો ની સાથે સાથે સ્થાનિક લોકોનાં બંધારણીય અધિકારનું પણ જતન થવું જોઈએઃ સરકાર-બીએમસી આખરી નિર્ણય કરેઃ

મુંબઈ -  કબૂરતખાનાના વિવાદને મુદ્દે  થયેલી અરજીમાં બોમ્બે હાઈકોર્ટે ગુરુવારની સુનાવણીમાં જણાવ્યું હતું કે કોર્ટે કબૂતરખાના બંધ કરવાનો આદેશ આપ્યો  જ નથી. અમે તો કેવળ કબૂતરખાનાં બંધ કરવાના મહાપાલિકાના નિર્ણય સામે મનાઈહુકમ આપવાનું જ ટાળ્યું છે. 

જૂના કબૂતરખાના ચાલુ રહેવા જોઈએ કે નહીં એ મુદ્દે નિષ્ણાતોની સમિતિ અભ્યાસ કરી શકે છે પણ  એ ધ્યાને લેવાવું જોીએ કે માનવજીવન સર્વોચ્ચ  મહત્ત્વું છે, એમ કોર્ટે જણાવ્યું હતું.

વરિષ્ઠ નાગરિકો અને બાળકોના આરોગ્યને કોઈ વસ્તુ અસર કરતી હોય તો તેને ધ્યાનમાં લેવી જોઈએ, સમતુલન હોવું જરૃરી છે. 

મ્યુનિસિપલ કોર્પોરેશને દાદરના કબૂતરખાનાંને તાડપત્રીથી ઢાંકી દેતાં ભારે વિરોધ થયો હતો. ગઈકાલે કેટલાક લોકોએ આ તાડપત્રીની જાતે તોડફોડ કરી કબૂતરોને ચણ આપ્યું હતું. 

બીજી તરફ રાજ્યના મુખ્યપ્રધાને દાવો  કર્યો હતો કે હાઈકોર્ટના આદેશને પગલે બીએમસીએ કબૂતરખાનાં બંધ કર્યાં છે. 

પરંતુ, હાઈકોર્ટની ન્યા. કુલકર્ણી અને ન્યા. આરિફ ડોક્ટરની બેન્ચે સ્પષ્ટતા કરી હતી કે અમે કોઈ આદેશ આપ્યો નથી. વાસ્તવમાં એ તો મુંબઈ મહાપાલિકાનો નિર્ણય હતો કે કબૂતરખાના બંધ કરવામાં આવે . મહાપાલિકાના આ નિર્ણયને હાઈકોર્ટમાં પડકારાયો હતો. અમે તેના પર કોઈ આખરી આદેશ આપ્યો નથી. અમે તો કેવળ મહાપાલિકાના આદેશ પર કોઈ મનાઈ હુકમ નકાર્યો હતો. 

જજોએ જોકે માનવ આરોગ્ય મહત્ત્વનું હોવાનું નોઁધીને નિષ્ણાતોની સમિતિ નિયુક્ત કરીને ભલામણ સરકારને આપવાનો વિચાર કરવા જણાવ્યું હતું.

કબૂતરખાનાં બંધ કરી ચણ નાખવા પર પ્રતિબંધ લાદતા મહાપાલિકાના નિર્ણયને પડકારતી પક્ષીપ્રેમીઓની અરજી સંદર્ભમાં હાઈકોર્ટે કહ્યું હતું કે કેટલાંક જાહેર સ્થળો એવા છે જ્યાં હજારો લોકોની અવરજવર રહે છે. થોડા એવા લોકો છે જેઓ કબૂતરને ચણ નાખવા માગે છે. સરકારે નિર્ણય લેવાનો છે . આ બાબતે કોઈ વિરોધ નથી. 

સરકાર અને પાલિકાએ દરેક નાગરિકોના બંધારણીય અધિકારની રક્ષા થાય અને જુજ લોકોના હિતને જ ધ્યાનમાં રાખીને નિર્ણય લેવાય નહીં એની તકેદારી લેવાની છે.

તમામ તબીબી અહેવાલો દર્શાવે છે કે કબૂતરથી સુધરી શકે નહીં એવું નુકસાન થાય છે. આ મુદ્દે કોર્ટ નિષ્ણાત નથી કે નિર્ણય આપી શકે આથી નિર્ણય લેવા પૂર્વે  વૈજ્ઞાાનિક  અભ્યાસ જરૃરી છે. ૧૩ ઓગસ્ટે વધુ સુનાવણી રાખવામાં આવી છે. હાઈકોર્ટે અ નિષ્ણાતોની કમિટી સ્થાપિત કરવાનો નિર્ણય આપી શકાય તે માટે તે દિવસે એડવોકેટ જનરલને હાજર રહેવા જણાવ્યું હતું. જો કમિટી પાલિકાના નિર્ણયને સાચો ઠેરવે તો પક્ષીઓ માટે યોગ્ય વૈકલ્પિક વ્યવસ્થા વિચારી શકાય છે એમ અદાલતે જણાવ્યું હતું