પ્રવાસીઓની સંખ્યા ચાર લાખને આંબી ગઈ
જોકે, મેટ્રો, લોકલ સહિતની કનેક્ટિવિટીના અભાવે નવાં એરપોર્ટ સુધી પહોંચવા કે ત્યાંથી આવવામાં લોઢાના ચણા ચાવવા પડે છે
મુંબઈ - મુંબઈના વિમાનમથકનો બોજો ઓછો કરવા માટે નવી મુંબઈમાં શરૃ થયેલા નવા ઈન્ટરનેશનલ એરપોર્ટમાં અત્યાર સુધીમાં પ્રવાસીઓની સંખ્યા ચાર લાખને આંબી ગઈ છે. મે મહિનાથી નવી મુંબઈ એરપોર્ટ પરથી ઈન્ટરનેશનલ ફલાઈટની શરૃઆત થઈ જશે.
નવી મુંબઈ એરપોર્ટ પરથી અમદાવાદ, દિલ્હી, બેંગ્લોર, હૈદરાબાદ, ચેન્નઈ, સુરત, ઈંદોર, નાગપુર, જયપુર, લખનઉ, ચંડીગઢ, કોલકાતા, ભુવનેશ્વર, પટના, ગોવા, કોચી અને તિરૃવઅનંતપુરમની ફલાઈટ ઓપરેટ થાય છે. આ એરપોર્ટ પરથી રોજ ૧૫૦ ફલાઈટ ઓપરેટ થાય છે અને સપ્તાહ દરમ્યાન ૧૧૦૦ ફલાઈટ ઓપરેટ થાય છે.
સિડકો (સિટી એન્ડ ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન)ના મેનેજિંગ ડિરેકટર વિજય સિંઘલે એવો સંકેત આપ્યો હતો કે મે મહિનાથી ઈન્ટરનેશનલ ઉડ્ડયનોની શરૃઆત થઈ જશે.
અટલસેતૂને કારણે મુંબઈથી નવી મુંબઈ એરપોર્ટ ઝડપથી પહોંચી શકાતું હોવા છતાં હજી સબર્બન ટ્રેન, મેટ્રો તેમજ મલ્ટી-મોડેલ ટ્રાન્સપોર્ટ હબના કામો પૂરા થયા ન હોવાથી કનેકટીવીટીના અભાવે લોકોએ મુશ્કેલીનો સામનો કરવો પડે છે.
નવી મુંબઈ એરપોર્ટ ઉપર ભવિષ્યમાં વધનારા એર ટ્રાફિકને ધ્યાનમાં લઈ ત્રીજો રનવે બનાવવાની યોજના ઘડાઈ છે. બીજું ટર્મિનલ ઉભું કરવાનું કામ પ્રગતિને પંથે છે. ત્રીજો રનવે બંધાયા પછી વિમાનોની અવરજવરમાં વૃધ્ધિ થશે અને ભવિષ્યમાં વાર્ષિક પ્રવાસી ક્ષમતા સાડાતેર કરોડ પર પહોંચશે. એવો અંદાજ વ્યક્ત કરવામાં આવ્યો છે.


