આગામી શૈક્ષણિક વર્ષ પહેલાં માન્યતા મેળવી લેવી અન્યથા તાળા લાગશે, જોકે ગત વર્ષ કરતાં આ વર્ષે અપાત્ર શાળાની સંખ્યા ઘટી
મુંબઇ - આગામી શૈક્ષણિક વર્ષ પહેલાં મોટું પગલું ભરી બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોેરેશન (બીએમસી)એ મુંબઈની ૧૬૪ ગેરકાયદે શાળાઓ બંધ કરવાનો આદેશ આપ્યો છે. આ શાળાઓ રાજ્ય સરકાર અથવા પાલિકા સત્તાધિકારીઓની ફરજિયાત માન્યતા વિના ચાલી રહી હતી, જેના કારણે શિક્ષણના નિયમોનું ઉલ્લંઘન થતું હતું. અધિકારીઓએ જણાવ્યું કે આવી શાળાઓ જરૃરી માળખાકીય સુવિધાઓ, સલામતી અને ગુણવત્તાના માપદંડોને પૂર્ણ કરતી નથી, જે વિદ્યાર્થીઓના હિત માટે ચિંતાજનક છે.
વિદ્યાર્થીઓના ભવિષ્યને ધ્યાનમાં રાખીને પાલિકાએ ખાતરી આપી છે કે તમામ અસરગ્રસ્ત વિદ્યાર્થીઓને નજીકની માન્ય શાળાઓમાં પ્રવેશ આપવામાં આવશે, જેમાં મ્યુનિસિપલ શાળાઓનો પણ સમાવેશ થાય છે. અધિકારીઓએ સૂચના આપી છે કે વિદ્યાર્થીઓને આસપાસની શાળાઓમાં સ્થાનાંતરિત કરવામાં આવે જેથી કોઈપણ વિદ્યાર્થીના અભ્યાસમાં વિક્ષેપ ન પડેે. આ પગલું અનધિકૃત અને અનિયંત્રિત શાળાઓને દૂર કરીને શિક્ષણની ગુણવત્તા જાળવવા માટે લેવામાં આવ્યું છે.
પાલિકાના આંકડાઓ મુજબ અમાન્ય શાળાઓની સંખ્યા છેલ્લાં કેટલાંક વર્ષોમાં ઘટી રહી છે. ૨૦૨૩-૨૪માં ૨૧૦, ૨૦૨૪-૨૫માં ૧૮૬ અને હવે ૨૦૨૫-૨૬માં ૧૬૪નો આંકડો રહ્યો છે. આ ઘટાડો કડક કાર્યવાહી અને કેટલીક શાળાઓ દ્વારા માન્યતા મેળવવાના કારણે થયો છે. તેમ છતાં આ નિર્ણયની ટીકા પણ થઈ રહી છે, કારણ કે કેટલાંક સામાજિક કાર્યકર્તાઓનું માનવું છે કે આ પગલાથી ગરીબ વર્ગના વિદ્યાર્થીઓ માટે સસ્તું શિક્ષણ ઉપલબ્ધ થવામાં મુશ્કેલી ઊભી થઈ શકે છે અને શાળાઓને બંધ કરવાની જગ્યાએ તેમને નિયમિત થવા માટે સમય આપવો જોઈએ.


