1લાં જ નોરતે વરસાદે મુંબઈને ભીંજવ્યું - હજુ 4 દિવસની આગાહી

રમવાની રંગીન છત્રીઓને બદલે વરસાદી છત્રી લઈ ખેલૈયા નીકળ્યા
સંભાજીનગરમાં ૬૦ વ્યક્તિઓનું સ્થળાંતર ઃ એક વૃદ્ધાનું મૃત્યુ થયું ઃ લાતુરમાં પણ ભારે વરસાદ
મુંબઈ - મુંબઇ અને નજીકનાં સ્થળોએ નવ રાત્રિ મહોત્સવ દરમિયાન વરસાદી માહોલ સર્જાયો છે. રવિવારે સાંજે મુંબઇનાં પૂર્વનાં અને પશ્ચિમનાં પરાંમાં રસતરબોળ વરસાદ વરસ્યો હતો. સાથોસાથ આજે પહેલા નોરતાએ સવારે અને સાંજે પણ શહેરમાં વર્ષા થઇ હોવાથી રાસ-ગરબાના ખેલૈયામાં ભારે નિરાશા ફેલાઇ હોવાના સમાચાર મળે છે.
બીજીબાજુ મહારાષ્ટ્રના છત્રપતિ સંભાજીનગર અને લાતુર જિલ્લામાં પણ મુશળધાર વરસાદ વરસ્યો હોવાથી લગભગ ૬૦ વ્યક્તિઓને સલામત સ્થળે લઇ જવામાં આવી હતી. વરસાદી પૂરમાં ફસાઇ ગયેલાં લોકોને બચાવવા માટે લશ્કરી ટુકડીઓને પણ બોલાવવામાં આવી હોવાના સમાચાર મળે છે.
ઉપરાંત, ભૂમ તાલુકાના ચીંકોલી ગામમાં દેવગનાબાઇ વારે નામની વૃદ્ધ મહિલાના ઘરમાંવરસાદી પાણી ભરાઇ ગયાં હોવાથી તેનું મૃત્યુ થયું હોવાના સમાચાર પણ મળે છે.
હવામાન વિભાગે એવો વરતારો આપ્યો છે કે હજી આવતા ચાર દિવસ(૨૩થી ૨૬ -- સપ્ટેમ્બર)દરમિયાન મુંબઇ સહિત મહારાષ્ટ્રના મોટાભાગમાં મેઘગર્જના, વીજળીના ચમકારા, તીવ્ર પવન સાથે મધ્યમથી ભારે વરસાદ વરસે તેવાં કુદરતી પરિબળો સર્જાઇ રહ્યાં છે.
હાલ બંગાળના ઉપસાગરના ઇશાન હિસ્સા ઉપર હવાના હળવા દબાણ( લો -પ્રેશર) નું કેન્દ્ર સર્જાયું છે. સાથોસાથ, બંગાળના ઉપસાગરના આ જ હિસ્સા ઉપર ૫.૮ કિલોમીટરના અંતરે સાયક્લોનિક સર્ક્યુલેશન પણ સર્જાયું છે. ઉપરાંત, ૨૫, સપ્ટેમ્બરે પણ બંગાળના ઉપસાગરમાં એક વધુ લો -પ્રેશર સર્જાય તેવી પણ સંભાવના છે.
આવાં બદલાઇ રહેલાં કુદરતી પરિબળોની ભારે અસર મુંબઇ સહિત મહારાષ્ટ્રમાં પણ થવાની શક્યતા છે.
આજે રાતના ૮ -- ૩૦ સુધીમાં કોલાબામાં ૨૧.૪ મિલિમીટર, જ્યારે સાંતાક્રૂઝમાં ૧૩.૨ મિલિમીટર વર્ષા નોંધાઇ હતી. આ જે કોલાબામાં મહત્તમ તાપમાન ૨૭.૦ અને લઘુત્તમ તાપમાન ૨૪.૨ ડિગ્રી , જ્યારે સાંતાક્રૂઝમાં મહત્તમ તાપમાન ૨૭.૨ અને લઘુત્તમ તાપમાન ૨૪.૩ ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. વાતાવરણમાં ભેજનું પ્રમાણ ૯૫ ટકા જેટલું ઘણું વધુ રહ્યું હતું.
કોલાબામાં આજ દિવસ સુધીમાં ૧,૯૩૧.૬ મિ.મિ.( ૭૭.૨૬ ઇંચ ) , જ્યારે સાંતાક્રૂઝમાં ૨,૯૦૩.૭ મિ.મિ.( ૧૧૬.૧૪ ઇંચ ) વર્ષા નોંધાઇ છે.









