Get The App

મીરા રોડમાં મરાઠી નહિ બોલવા મુદ્દે વેપારી પર મનસે કાર્યકરોનો હુમલો

Updated: Jul 2nd, 2025

GS TEAM

Google News
Google News
મીરા રોડમાં મરાઠી નહિ બોલવા મુદ્દે વેપારી પર મનસે કાર્યકરોનો હુમલો 1 - image


મીઠાઈના વેપારીને કાર્યકરોએ જાહેરમાં જ ધડાધડ તમાચા ફટકાર્યા

મુંબઈ -  મુંબઈ નજીકના મીરા રોડમાં મરાઠી ન બોલતા દુકાનદારને મનસે કાર્યકરો દ્વારા માર મારવામાં આવ્યો હતો. આ મારપીટનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા બાદ તેનો ઉગ્ર વિરોધ થયો છે. વેપારી સંગઠનોએ આ ઘટનાના વિરોધમાં આંદોલન કરવાની ચેતવણી આપી છે.

મીરા રોડના સિલ્વર પાર્ક વિસ્તારમાં મીઠાઈની દુકાન ચલાવતા બાબુલાલ ચૌધરીને સોમવારે મનસેના કેટલાક પદાધિકારીઓ દ્વારા માર મારવામાં આવ્યો હતો. મરાઠી ન બોલવાને કારણે ગુસ્સામાં તેમને માર મારવામાં આવ્યો હતો. આ મારપીટના વીડિયો બાદ સમગ્ર શહેરમાં ભારે આક્રોશની લાગણી પેદા થઈ હતી. 

 મીરા ભાયંદરમાં ગુજરાતી, મારવાડી અને ઉત્તર ભારતીય વેપારીઓ મુખ્યત્વે છે. તેઓ આ ઘટનાનો વિરોધ કરવા માટે ભેગા થયા છે. વેપારીઓએ આ પ્રકારની ઘટનાનો વિરોધ કરવા માટે આંદોલન કરવાની ચેતવણી આપી છે. અમે મરાઠી ભાષાનું સન્માન કરીએ છીએ. જો કે, વેપાર સંગઠનોએ એવો અભિપ્રાય વ્યક્ત કર્યો છે કે આ માટે હિંસક રીતરસમનો ઉપયોગ કરવો અયોગ્ય છે. 

દરમિયાન  ધારાસભ્ય નરેન્દ્ર મહેતાએ આ ઘટનાની સખત નિંદા કરી છે અને વેપારીઓને ન્યાય મળશે તેવી ખાતરી આપી છે. આ કેસમાં, કાશીમીરા પોલીસ સ્ટેશનમાં સાત  મનસે કાર્યકરો સામે ગેરકાયદેસર રીતે ભેગા થવા, હુમલો કરવા, રમખાણો કરવા, ધાકધમકી આપવા વગેરે માટે ભારતીય દંડ સંહિતાની કલમો હેઠળ કેસ નોંધવામાં આવ્યા છે.

વાતાવરણ ડહોળાયું 

મીરા-ભાયંદરમાં હિન્દી ભાષી નાગરિકોની સંખ્યા નોંધપાત્ર છે, જેમાં મોટી સંખ્યામાં ગુજરાતી અને મારવાડી સમુદાયના વેપારીઓનો સમાવેશ છે. ચૂંટણીની પૂર્વસંધ્યાએ મરાઠી મજબૂરીને કારણે હિન્દી ભાષી વ્યક્તિ પર થયેલા હુમલાને કારણે રાજકીય વાતાવરણ પણ ગરમાયું છે.


Tags :