ગાર્ડસનો ધર્મ પૂછ્યા બાદ ચાકુથી હુમલો કર્યો હતો
મૂળ અફઘાની પત્નીને ભારતમાં નહિ ફાવતાં છૂટાછેડા આપ્યા હતાઃ અંસારીએ વિદ્યાર્થીઓને ઉશ્કેર્યા છે કે કેમ તેની પણ તપાસ
મુંબઇ - મીરા રોડમાં બે સિક્યુરિટી ગાર્ડને તેઓ હિન્દુ છે કે કેમ તેવી પૂછપરછ કર્યા બાદ તેમના પર ચાકુથી હુમલો કરનારા ઝેબ અંસારીની તેની ભૂતપૂર્વ પત્નીએ જ કટ્ટરપંથી બનાવ્યો હોવાની શંકા એટીએસ દ્વારા વ્યક્ત કરાયી છે. એટીએસ દ્વારા થાણેની એક ખાસ કોર્ટમાં આ રજૂઆત કરાઈ હતી. અદાલતે ઝૈબ અંસારીના રિમાન્ડ ૧૧મે સુધી લંબાવ્યા છે.
એટીએસ દ્વારા કોર્ટને જણાવાયું હતું કે અન્સારી સામે યુએપીએની કલમો લગાવાઈ છે. તેણે આઈએસની લોન વુલ્ફ પેટર્નથી હુમલો કર્યો છે. અમે એ શોધવાનો પ્રયાસ કરી રહ્યા છીએ કે તે કોના સંપર્કમાં હ તો. તેના ઘરેથી આઈએસ સંબંધિત સામગ્રી પણ મળી છે.
મોરેએ કોર્ટને જણાવ્યું હતું કે અંસારીએ બે પીડિતો પર કથિત હુમલો કર્યા બાદ તે ઘરે ગયો હતો અને તેના ફોન અને લેપટોપમાંથી મહત્વની માહિતી સાફ કરી નાંખી હતી. મોરેએ કોર્ટને જણાવ્યું હતું કે ફોરેન્સિક લેબોરેટરીમાંથી મિરર ડેટા મેળવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. આ મુદ્દે વધુ તપાસ કર્યા બાદ જ એ સ્પષ્ટ થશે કે તેને કોણે કટ્ટરપંથી બનાવ્યો હતો પણ પ્રથમ દ્રષ્ટિએ તેની ભૂતપૂર્વ પત્ની પર અમને શંકા છે તેવું મોરેએ કોર્ટમાં સ્પષ્ટ કર્યું હતું. તે યુએઇના વિદ્યાર્થીઓને ઓનલાઇન ગણિત અને વિજ્ઞાાન ભણાવતો હોવાથી તેણે તેના કોઇ વિદ્યાર્થીઓને કટ્ટરપંથી બનાવવાનો પ્રયાસ કર્યો હતો કે કેમ તેની તપાસ કરવામાં આવી રહી હોવાનું એટીએસના એક અધિકારીએ જણાવ્યું હતું.
નયાનગરમાં ભાડાના મકાનમાં એકલા રહેતા અંસારીના લગ્ન ૨૦૨૩માં થયા હતાં પરંતુ ૨૦૨૫માં તેના લગ્ન તૂટી ગયા હતા. તેની ભૂતપૂર્વ પત્ની અફઘાની મૂળની અમેરિકન નાગરિક હતી. તે થોડા સમય માટે ભારતમાં રહી હતી. પરંતુ અહીં તેને રહેવામાં મુશ્કેલી પડતી હોવાથી તેણે અંસારીને છુટાછેડા આપી દીધા હતા.


