વિધાનભવનની સુરક્ષામાં પોલમપોલ
એમઆઈડીસીના નકલી લેટર હેડના આધારે બેથી પાંચ હજારમાં વેચાણ
મુંબઈ - રાજ્ય વિધાનભવનના બોગસ એન્ટ્રી પાસ કાળાબજારમાં વેચાતા હોવાનો ઘટસ્ફોટ આજે ખુદ રાજ્યના જ ઉદ્યોગ મંત્રી ઉદય સામંતે કર્યો હતો. તેમના જણાવ્યા મુજબ તેમના નામે તથા એમઆઈડીસીનાં બોગસ લેટર હેડનો દુરુપયોગ કરી ૫૦ બોસ પાસ બેથી પાંચ હજારમાં વેચવામાં આવ્યા હતા. આ દાવાને પગલે વિધાન ભવનની સુરક્ષા વ્યવસ્થામાં પોલમપોલ બહાર આવી છે.
આ દાવા બાદ વિધાનસભા સ્પીકરે તપાસના આદેશ આપ્યા છે.
એવી વાત બહાર આવી છે કે એમઆઈડીસી લેટરહેડની કલર ઝેરોક્ષ મેળવવામાં આવી હતી અને તેના પર અધિકારીઓની બનાવટી સહીઓ કરવામાં આવી હતી. આ પાસ કેટલાક સિક્યુરિટી જવાનોની મદદથી વેચવામાં આવ્યા હતા.
હજુ થોડા દિવસો પહેલાં જ વિધાન ભવનમાં બોમ્બ મૂકાયાની ધમકી મળી હતી.
ઉલ્લેખનીય છે કે, ધારાસભ્ય અમોલ મિતકરીએ પણ અગાઉ વિધાન ભવન પરિસરમાં અનાધિકૃત લોકોના પ્રવેશનો મુદ્દો ઉઠાવ્યો હતો.
વિધાન પરિષદના સ્પીકર રામ શિંદેએ આ મુદ્દે તાત્કાલિક તપાસ સમિતિની નિમણૂક કરવાનો આદેશ આપ્યો હતો અને સત્રના અંત સુધીમાં દોષિતો સામે કડક કાર્યવાહી કરવાની ખાતરી આપી છે.
દરમિયાન, ગૃહ રાજ્યમંત્રી (ગ્રામીણ) પંકજ ભોયરે સ્પષ્ટતા કરી છે કે તેઓ તપાસ સમિતિનો રિપોર્ટ આવ્યા પછી અંતિમ નિર્ણય લેશે.


