Get The App

લાલબાગના કચ્છી પરિવારના સભ્યો દુબઈમાં ફસાઈ ગયા

Updated: Mar 4th, 2026

GS TEAM

Google News
Google News
લાલબાગના કચ્છી પરિવારના સભ્યો દુબઈમાં ફસાઈ ગયા 1 - image

પરિવારજનોએ સરકારની મદદ માગી

72  વર્ષના  વૃદ્ધ માતા અને બાળકો પણ સાથે હોવાથી પરિવારમાં વધુ ગભરાટ 

મુંબઈ- લાલબાગમાં રહેતા કચ્છી વિશા ઓસવાળ પરિવારના સાત સભ્યો હાલમાં દુબઈમાં ફસાઈ ગયા છે. હાલમાં તેમને પાસે આવેલી હોટેલમાં રહેવા જગ્યા આપી છે. ઘરે જલ્દી પહોંચીએ એવી પ્રાર્થના પરિવાર દ્વારા કરવામાં આવી છે.

આ વિશે વધુ માહિતી આપતાં વૈશાલી પાસડે કહ્યું હતું કે, હું ને મારા પરિવારના કુલ સાત સભ્યો અમે એકસાથે મુંબઈથી નીકળ્યા હતા. લાલબાગમાં રહેતાં મારા મમ્મી હેમલતા પાસડ, દાદરમાં રહેતી નાની બહેન ધીરલ સાવલા અને બનેવી મેહુલ સાવલા, દાદરમાં રહેતી ભાણકી તન્વી સાવલા અને અન્ય પરિવારજનો નિલેશ ગાલા, પ્રીતિ ગાલા, કરણ ગાલા જેઓ મહારાષ્ટ્રના ઈચંલકરનજીથી  મુંબઈ આવ્યા હતા. આ તમામ સાત સભ્યો ૨૩  ફેબુ્રઆરીની રાત્રે મુંબઈ એરપોર્ટથી અબુધાબી જવા નિકળ્યા હતા.

એ પ્રમાણે ૨૪ ફેબ્રુઆરીએ અબુધાબી પહોંચ્યા હતા અને ત્રણ દિવસ અહી રહ્યા હતા.

         વધુમાં જણાવ્યું હતું કે, એ પછી ૨૭  ફેબુ્રઆરીએ દુબઈ આવ્યા અને ત્યાંની મીનાબઝારની હોટલમાં રોકાયા હતા. પરંતુ ૨૮ ફબુ્રઆરીએ અચાનક ઈરાન-ઈઝરાયલના યુદ્ધ શરૃ થયું અને ઈરાને દુબઈને ટાર્ગેટ બનાવ્યું હતું. એથી તમામ ઈન્ટરનેશનલ ફ્લાઈટ અચોક્કશ મુદત માટે બંધ કરી દેવાઈ હતી. અમારી ત્રીજી માર્ચની રાતે ફલાઈટ હતી  અને હોટલ  ત્રીજી તારીખે બપોરે બે છોડી દેવાની હતી. તે પ્રમાણે મુંબઈ પરત આવવા માટે ત્રણ તારીખની ફ્લાઈટનું અગાઉથી બુકીંગ કરીને રાખ્યું હતું. પરંતુ, યુદ્ધની પરિસ્થિતિના કારણે તેઓ દુબઈથી મુંબઈ  પરત આવાવની ફ્લાઈટ કેન્સલ થઈ જતા પરેશાન થઈ ગયા  છીએ. એમાં મારા મમ્મી ૭૨ વર્ષના અને બાળકો સાથે હોવાથી અમને અહી દુબઈ પર ઈરાન દ્વારા હુમલાના સમાચાર જોતા વધુ ગભરાય ગયા છીએ.  અમે લોકોએ મદદ માટે  રાજ્ય સરકારને વિનંતી કરી છે. 

ફ્લાઈના ભાવ ત્રણ ગણા..

ઇઝરાયેલ-ઈરાન યુદ્ધ વચ્ચે એર લાઇન્સ ફરી તેમની મનમાની કરતા જોવા મળી રહ્યા છે. અન્ય દેશોમાં ફસાયેલા ભારતીયો પાછા ફરવા માટે મોટા ભાગે દુબઈથી મુંબઈ આવતાં હોય છે. પરંતુ, હવે દુબઈથી ફ્લાઇટ ન હોવાથી અન્ય દેશો થકી મુંબઈ આવવુ પડી રહ્યું છે પણ એના માટે ત્રણ ગણા બધું પૈસા લેવામાં આવી રહ્યા છે.