Get The App

શિક્ષકો પર હુમલાના કેસમાં મેયર રિતુ તાવડે પર ખટલો ચાલશેઃ ડિસ્ચાર્જ અરજી રદ

Updated: Mar 19th, 2026

GS TEAM

Google News
Google News
શિક્ષકો પર હુમલાના કેસમાં મેયર  રિતુ તાવડે પર ખટલો ચાલશેઃ ડિસ્ચાર્જ અરજી રદ 1 - image

2016 માં બે શિક્ષકોેને તમાચા  ફટકારવાના કેસમાં આરોપી

તાવડેએ  લાફા માર્યા હતા તેવું સાક્ષીઓનું નિવેદન  આરોપનામું ઘડવા માટે પર્યાપ્ત હોવાનું અદાલતે જણાવ્યું

મુંબઇ - મુંબઈની એક અદાલતે ૨૦૧૬માં બે શિક્ષકો પર હુમલાના એક કેસમાં મુંબઈનાં હાલનાં મેયર  રિતુ તાવડેની પોતાને મુક્તિ આપવાની અરજી ફગાવી દીધી  છે. પીડિતોનું નિવેદન આરોપી સામે આરોપનામું ઘડવા માટે પર્યાપ્ત સામગ્રી ધરાવે છે તેમ અદાલતે જણાવ્યું છે. આ ચુકાદાને પગલે હવે રિતુ તાવડે સામે ખટલો ચાલવાનો માર્ગ મોકળો થયો છે.

તાવડેએ બે શિક્ષક પર હુમલો કર્યો હતો તેવું અન્ય સાક્ષીએ પણ કહ્યું હતું તેવું એડિશનલ સેશન્સ જજ વાય પી માનાથકરે કહ્યું હતું. સાક્ષીઓનાં નિવેદનો આ કેસ ચલાવવા માટે પર્યાપ્ત છે  એમ તેમણે જણાવ્યું હતું.

 વાકોલા વિસ્તારમાં આવેલી બીએમસીની એક ઉર્દુ મીડિયમ શાળામાં ૨૯મી જુલાઇ, ૨૦૧૬મીએ આ ઘટના બની હતી.કેન્સર સામે જંગ લડતી એક શિક્ષિકાની અચાનક જ બદલી કરાતા  વિવાદ  ઉભો થયો હતો . તાવડેએ આ બદલી સામે વાંધો લીધો હતો.  કેન્સરગ્રસ્ત ટીચરની બદલી કેમ કરી તે બાબતમાં તાવડેએ શાળાનાં હેડમિસ્ટ્રેસ તથા અન્યો સાથે ઉગ્રતાથી ચર્ચા કરી હતી. તાવડે સાથે છ અન્ય લોકો પણ હતા. તે વખતે તાવડે ભાજપના કોર્પોરેટર અને પાલિકાની શિક્ષણ સમિતિના સભ્ય હતા.

ફરિયાદ પક્ષના આરોપ અનુસાર તાવડેએ  મેનેજમેન્ટ સામે અપશબ્દો ઉચ્ચાર્યા હતા અને શાળાના બે શિક્ષકને તમાચા માર્યા હતા. જોકે, પોતાની અરજીમાં તાવડેએ દાવો કર્યો હતો કે ઘટનાસ્થળે તેમની હાજરી સંયોગવશ હતી અને કથિત ટોળા સાથે તેમને કોઇ સંબંધ ન હતો. ઘટનાના ૧૩ દિવસ પછી ૧૧મી ઓગસ્ટ, ૨૦૨૬મીએ ફર્સ્ટ ઇન્ફોર્મેશન રિપોર્ટ (એફઆઇઆર) નોંધાયો હતો તે પણ દર્શાવે છે કે ફક્ત રાજકીય કિન્નાખોરી રાખીને આ ફરિયાદ કરવામાં આવી હતી.

તાવડેએ દાવો કર્યો હતો કે પોતે ભાજપના નગરસેવક હોવાથી પ્રસિદ્ધિ મેળવવા ફરિયાદીએ  ફરિયાદ આપી છે.  

જોેકેફરિયાદીએ જણાવ્યું હતું કે તાવડેએ જે બે શિક્ષકોેને તમાચા માર્યા હતા તે બે શિક્ષકોએ ખાસ તાવડેનો જ નામોલ્લેખ કર્યો છે.  શાળા એવું સ્તળ છેે જ્યાં વિદ્યાર્થીઓને જીવનના પાઠ શીખવવા મળે છે પણ તે જ સ્થળે ઝઘડો થયો હતો આથી આ સ્થળે શિક્ષકો પર હુમલાનાં  કૃત્યને ગંભીરતાથી લેવું જોઇએ તેવી રજૂઆત ફરિયાદ પક્ષે કરી હતી.

અદાલતે જણાવ્યું હતું કે આ તબક્કે અમે કોઈ મિનિ ટ્રાયલ યોજી રહ્યા નથી કે આરોપીઓ દોષિત છે કે કેમ તે અંગે કોઈ આખરી ચુકાદો પણ આપી રહ્યા નથી. અત્યારે તો અમારે એ જ તપાસવાનું છે કે આ ઘટનામાં પ્રથમ દ્રષ્ટિએ કોઈ કેસ બને છે કે નહિ. આ તબક્કે ફરિયાદીઓ તથા સાક્ષીઓના નિવેદન પરથી એમ જણાય છે કે આરોપીઓ સામે આરોપો ઘડવા માટે પૂરતાં કારણો છે. આરોપો ઘડવાના તબક્કે સાક્ષીઓ તથા ફરિયાદીના નિવેદન કેટલી હદે સંભવજન્ય છે કે માનવાલાયક છે તે તપાસવાનું હોતું નથી એમ ચુકાદામાં જણાવાયું હતું.