60 થી 90ના દશકના મટકા કિંગ રતન ખત્રીનું બ્રેન હેમરેજથી નિધન
મુંબઈ, તા.11 મે, 2020, સોમવાર
દેશભરમાં મટકા કિંગ તરીકે જાણીતા બનેલા ૮૮ વર્ષીય રતન ખત્રીનું બ્રેન હેમરેજને કારણે શનિવારે તેમના નિવાસસ્થાને નિધન થયું હતું. ભારત- પાકિસ્તાનના ભાગલા વખતે કરાંચીથી મુંબઈ આવેલા તરૃણ વયના રતન ખત્રીએ પ્રારંભિક તબક્કામાં મિલમાં કામ કર્યા પછી મટકા બેટિંગ ક્ષેત્રે ઝંપલાવ્યા પછી તેમાં પોતાનો પગદંડો જમાવ્યો હતો. મટકા બેટિંગનો રાષ્ટ્રીય સ્તરે વ્યાપ કર્યા પછી દશકો સુધી તેમણે મટકા કિંગ તરીકે રાજ કર્યું હતું.
શરૃઆતમાં તેઓ પોતાના પરિવાર માટે મટકા બેટિંગ કરતાં ધીમે ધીમે તેઓ ૧૯૬૦માં વરલીના મટકા કિંગ ગણાતા કલ્યાણી ભગતના જમણા હાથ સમાન બની ગયા હતા. તે વખતે મટકાના આંકડા ખુલવાનો અને બંધ થવાનો સઘળો આધાર ન્યુયોર્ક કોટન એક્સચેન્જમાં થતા કોટનના સોદાના ભાવ પર રહેતો. તેથી જેમને મટકાનો જુગાર રમવાની લત લાગી ગઈ હતી એવા લોકો ન્યુયોર્કનું કોટન એક્સચેન્જ બંધ હોય ત્યારે આ બેટિંગ શી રીતે કરવું તેના માર્ગો શોધવા લાગ્યા હતા. ૧૯૬૦ના ઉત્તરાર્ધ દરમિયાન જ કેટલાંક મિત્રોની ચઢામણીથી ખત્રીએ કલ્યાણ ભગતથી છૂટાં પડીને પોતાની સિન્ડિકેટ શરૃ કરી.
જોતજોતામાં 'રતન મટકા' નામ જાણીતું બની ગયું. વળે તેના નેજા હેઠળના મટકામાંથી જે તે અડ્ડાના વડા સામે ચિઠ્ઠીઓ કાઢવામાં આવતી હોવાથી જુગારમાં તેનું સ્થાન વિશ્વસનીય બન્યું. ટૂંક સમયમાં આ જુગાર નાણાં લણવા માંડયું. રતન ખત્રીનો આ ધંધો ફૂલવાફાલવા લાગતા ફોન પર પણ જુગાર ખેલાવા લાગ્યો. દરમિયાન લકી પ્રાઈઝ પણ જાહેર થવા લાગતાં મટકાનો જુગાર રમવાવાળો વર્ગ વિસ્તર્યો અને જોતજોતામાં તેનું રોજિંદુ ટર્ન ઓવર એક કરોડ રૃપિયાને આંબી ગયું.
રતન ખત્રીના નિકટના સૂત્રોએ જણાવ્યું હતું કે તે વખતે તેમની વગ એવી હતી કે એક વખત તેઓ દુબઈથી ભારત આવી રહ્યાં હતાં ત્યારે તેમણે એર ટ્રાફિક કન્ટ્રોલના માધ્યમથી મટકાના નંબર જાહેર કરાવ્યા હતા. તે વખતે તેમને એમ લાગ્યું હતું કે જો તેઓ આ પગલું નહીં ભરે તો કાયદો અને વ્યવસ્થા ખોરવાઈ જશે.
તેમના વ્યક્તિત્વની નકારાત્મક છાપ હિન્દી ફિલ્મોદ્યોગમાં પણ જોવા મળી હતી. ૧૯૭૦-૮૦ના દશકની ઘણી ફિલ્મોમાં તેમના પર આધારિત પાત્રો જોવા મળ્યાં હતાં. રતન ખત્રીએ કેટલીક ફિલ્મો માટે નાણાં પણ ધીર્યાં હતાં.
આ ધંધામાંથી નિવૃત્તિ લીધા પછી પણ રતન ખત્રીની જુગાર રમવાને ટેવ છૂટી નહોતી. સૂત્રોએ કહ્યું હતું ક ેતેઓ મહાલક્ષ્મી રેસકોર્સ ખાતે ઘોડાઓ પર બેટિંગ લગાવતા.
પોતાના અંતકાળ દરમિયાન પણ રતન ખત્રી આંકડાઓની માયાજાળમાંથી બહાર નહોતા આવી શક્યા. તેમનું નિધન થયું ત્યારે લોકડાઉન હોવા છતાં તેમની અંતિમયાત્રામાં ઘણાં લોકો સામેલ થયા હતા. ખાસ કરીને તેમણે જેમને આર્થિક સહાય કરી હતી. તેઓ તેમની અંતિમયાત્રામાં સામેલ થયા હતા.