ગોરેગાંવ ફિલ્મ સિટીમાં ટીવી સીરિયલ અનુપમાના સેટ પર ભીષણ આગ
શૂટિંગ શરુ થાય તેના એક કલાક પહેલાં જ આગ લાગી
પાંચ હજાર ચોરસ ફૂટના સેટમાં ડેકોરેશન, કોશ્ચ્યુમ્સ, ઈલે. વાયરિંગ, લાઈટ્સ સહિત તમામ સામગ્રી ભસ્મીભૂત
મુંબઈ - રુપાલી ગાંગુલીની મુખ્ય ભૂમિકા ધરાવતી લોકપ્રિય ટીવી સીરિયલ 'અનુપમા'નાં શૂટિંગ માટે મુંબઈના ગોરેગાંવ વિસ્તારનાં ફિલ્મ સિટીમાં ઊભા કરાયેલા સેટ પર આજે વહેલી સવાર આગ લાગતાં સમગ્ર સેટ તેમાં ભસ્મીભૂત થઈ ગયો હતો. આગ લાગી ત્યારે સેટને લગતું કેટલુંક કામ કરતા ટેકનિશિયન્સ તથા સિક્યુરિટી જવાનો હાજર હતા. જોકે, કોઈનેય ઈજા થઈ ન હતી. અલબત્ત આ આગમાં સેટનું સમગ્ર ફર્નિચર, ડેકોરેશન, કોશ્ય્યુમ, ઈલે. ઈક્વિપમેન્ટસ, વાયરિંગ સહિત સમગ્ર સામાન ભસ્મીભૂત થઈ ગયો હતો.
આજે સવારે પાંચ વાગ્યાની આસપાસ હાથી ગેટ પાસે મરાઠી બિગ બોસ સેટની પાછળ આવેલા ફલોર પર અનુપમા સીરિયલના સેટ પર અચાનક આગ ભભૂકી ઉઠી હતી. સેટ પર પુષ્કળળ જ્વલનશીલ સામગ્રી હોવાથી થોડીવારમાં જ આગ સમગ્ર સેટ પર ફેલાઈ હતી.
ફાયરબ્રિગેડના જણાવ્યા અનુસાર સવારે છ વાગ્યા આસપાસ તેમને આ આગની જાણ થઈ હતી. ૬.૨૬ વાગ્યાની આસપાસ આગને લેવલ વન ફાયર જાહેર કરી અગ્નિશમનની કામગીરી શરુ કરાઈ હતી. પાંચ ફાયર બંબાઓ, ચાર જમ્બો ટેન્કર સેટ પર મોકલાયાં હતાં. એક એડિશનલ ડિવિઝનલ ફાયર ઓફિસ (એડીએફઓ) અને ત્રણ સ્ટેશન ઓફિસરની દેખરેખ હેઠળ અગ્નિશમન કામગીરી હાથ ધરાઈ હતી. ચાર કલાકની જહેમત બાદ સવારે ૧૦.૧૫ વાગ્યાની આસપાસ સંપૂર્ણ આગ પર કાબુ મેળવી લેવાયો હતો.
જોકે, ત્યાં સુધીમાં પાંચ હજાર ચોરસ ફૂટનો સમગ્ર સેટ ભસ્મીભૂત થઈ ચૂક્યો હતો. ઈલેક્ટ્રીક વાયરિંગ, ઈન્સ્ટોલેશન, પ્લાસ્ટિક અને લોખંડની સામ્રગી, સુશોભન વસ્તુઓ, કેમેરા, કોસ્ટયુમ, લાઈટીંગ સિસ્ટમ અને અન્ય સ્ટુડિયો સાધનોબધું જ આગમાં ભરખાઈ ગયું હતું.
સીરિયલના નિર્માતાઓ તરફથી જણાવાયા મુજબ ગઈકાલે રવિવારે કોઈ શૂટિંગ ન હતું. આજે સવારે સાત વાગ્યાથી શૂટિંગ શરુ થવાનું હોવાથી તેની તૈયારી માટે કેટલાક ટેકનિશિયન સેટ પર પહોંચ્યાં હતા. કોઈ કલાકારો સેટ પર હાજર ન હતા શૂટિંગ ગઈકાલથી બંધ હોવાથી કોઈ મેજર લાઈટિંગ ઈક્વિપમેન્ટ પણ ચાલુ હાલતમાં ન હતાં. આ સંજોગોમાં આગ કઈ રીતે લાગી તે તેમના માટે પણ અટકળનો વિષય છે. આ આગમાં કોઈ પ્રાણીને પણ હાનિ નહિ પહોંચી હોવાનું તેમણે જણાવ્યું હતું.
ફિલ્મ સિટીના એમડીને સસ્પેન્ડ કરવાની પણ માગણી
ફાયર સેફ્ટીનાં ઉલ્લંઘન માટે નિર્માતાઓ સામે કેસની માંગ
શૂટિંગ સ્થળે આગની ઘટનાઓથી હજારો સિનેવર્કર્સની જિંદગીને જોખમ
ટીવી સીરિયલ અનુપમાના શૂટિંગમાં આગની ઘટનાને પગલે ઓલ ઈન્ડિયન સિને વર્કર્સ એસોશિયેશન (એઆઈસીડબલ્યુએ)એ ફિલ્મ સિટીના મેનેજિંગ ડિરેક્ટરને તાત્કાલિક સસ્પેન્ડ કરવા તથા શોના નિર્માતા સામે કેસ નોંધવાની માંગ કરી હતી.
ઓલ ઈન્ડિયા સિને વર્કર્સ એસોશિયેશને ફાયર સેફ્ટીના નિયમોના ભંગ માટે ફિલ્મ સિટીના મેનેજિંગ ડિરેક્ટર અને મુંબઈના લેબર કમિશનને તાત્કાલિક સસ્પેન્ડ કરવાની માંગ કરી હતી.
એઆઈસીડબલ્યુએનો આરોપ છે કે આગ લાગવાની ઘટનાઓ વારંવાર બને છે કારણ કે પ્રોડક્શન હાઉસો અગ્નિ સુરક્ષા નિયમોનું પાલન કરતા નથી. જેના કારણે હજારો કામદારોના જીવન ગંભીર જોખમમાં મૂકાઈ રહ્યા છે.
આ ઘટના બાદ શોના નિર્માતા પર કેસ નોંધવાની પણ માંગ કરાઈ છે. સંગઠન દ્વારા જણાવાયું હતું કે નિર્માતાઓ, પ્રોડક્શન હાઉસ, ટેલિવિઝન ચેનલ, તેમજ ફિલ્મ સિટીના મેેનેજિંગ ડિરેક્ટર અને લેબર કમિશનર સામે કેસ નોંધવામાં આવે. તેમણે તમામ સ્ટૂડિયો અને સેટ્સનું તાત્કાલિક ફાયર ઓડિટ કરવાની માંગ કરી છે. ે કોઈપણ પ્રોડકશન હાઉસ અથવા ચેનલ જે ફાયર સેફ્ટી ધોરણોનું ઉલ્લંઘન કરે તેવા સંજોગોમાં તેને બ્લેકલિસ્ટ કરાવું જોઈએ તેવી પણ માંગ કરાઈ હતી.