કાંદિવલીમાં બોનાન્ઝા ઈન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં ભીષણ આગ લાગી
આઠકલાકની જહેમત બાદ સંપૂર્ણ આગ પર કાબુ મેળવ્યો
બે માળની ઈમારતમાં પહેલા માળે ગોદામમાં આગ લાગી હતી ઃ કોઈ જાનહાનિ નહીં
મુંબઈ - કાંદિવલી પશ્ચિમમાં અશોક ચક્રવર્તી રોડ પર સ્થિત ઈન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં આજે એક ગોદામમાં ભીષણ આગ લાગી હતી. જો કે સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી.
પ્રાપ્ત માહિતી મુજબ, કાંદિવલી પશ્ચિમમાં સ્થિત અશોક ચક્રવર્તી રોડ પર બોનાન્ઝા ઈન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં શનિવારે સવારે ૭ વાગ્યાની આસપાસ બે માળની ઈમારતમાં પહેલા માળે આવેલ એક ગોદામમાં ભીષણ આગ લાગી હતી. આગને કારણે થોડી જ વારમાં ઈમારતમાં ધુમાડાના ગોટેગોટા ફેલાઈ ગયા હતા.
ઘટનાની જાણ થતા જ ફાયર વિભાગ અને પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને સવારે ૭.૩૦ વાગ્યાની આસપાસ આગને લેવલ બેની આગ જાહેર કરી હતી. તેથી આગને કાબુમાં લેવા માટે ત્રણ નાની નળી લાઈન અને એક ઉચ્ચ દબાણ લાઈનનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. ભારે જહેમત બાદ બપોર ૩.૧૫ વાગ્યાની આસપાસ સંપૂર્ણ આગ પર કાબુ મેળવી લેવામાં આવ્યો હતો.
સવારે આગ લાગતાં ઈન્ડસ્ટ્રીયલ એસ્ટેટ ખાલી હોવાથી અહીં મોટી દુર્ઘટના બનતા ટળી હતી. આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી. જો કે આ આગમાં પહેલા માળે સ્થિત ગોદામ સંપૂર્ણપણે બળીને ખાખ થઈ ગયો હતો. આ ઘટનામાં આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ જાણી શકાયું નથી. ફાયર વિભાગે આ મામલે વધુ તપાસ હાથ ધરી હતી.
નોંધનીય છે કે, છેલ્લા કેટલાક દિવસોથી મુંબઈમાં આગ લાગવાની ઘટનાઓ વધી રહી છે. છેલ્લા ૧૫ દિવસમાં આગની ત્રણ મોટી ઘટનાઓ બની હતી. જેમાં દક્ષિણ મુંબઈમાં ઈડી ઓફિસમાં આગ લાગી હતી. ત્યારબાદ ભાયખલામાં એક બેકરીમાં આગ લાગી હતી. તો ગયા અઠવાડિયે બાંદ્રામાં એક મોલમાં આગ લાગી હતી.