14.57 લાખ વિદ્યાર્થીઓની પ્રતીક્ષાનો અંત
આવતીકાલથી માર્ક વેરિફિકેશન માટે અરજી કરી શકાશે
મુંબઇ : મહારાષ્ટ્ર બોર્ડ દ્વારા લેવાયેલી ધો.૧૨ની પરીક્ષાના પરિણામની પ્રતિક્ષા પૂરી થઇ છે. ગુરુવારે ૨૫મી મેના રોજ બપોરે બે વાગ્યે ધો.૧૨નું બોર્ડનું પરિણામ ઓનલાઇન વેબસાઇટ પર જાહેર થવાનું છે.
ફેબુ્રઆરી-માર્ચ દરમ્યાન લેવાયેલી બોર્ડની ધો.૧૨ની પરીક્ષામાં ૧૪,૫૭,૨૯૩ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. તેમનું ભવિષ્ય અહીંથી વળાંક લેવાની સંભાવના છે. રાજ્યના કુલ નવ વિભાગનું પરિણામ એક સાથે જાહેર થશે.
મહારાષ્ટ્ર બોર્ડ દ્વારા દસમા-બારમાની પરીક્ષા આ વર્ષે રેગ્યુલર ધોરણે ઓફલાઇન થઇ હતી. આથી વિદ્યાર્થીઓને તેમના રીઝલ્ટની ખરેખર રાહ હતી. આ પ્રતીક્ષા હવે પૂરી થઇ છે. ગુરુવારે ૨૫મી મેના પરિણામ જાહેર થયા બાદ ૨૬મેથી પાંચમી જૂન સુધી વિદ્યાર્થીઓ માર્ક વેરિફિકેશન માટે વેબસાઇટ પર અરજી કરી શકશે. આન્સરશીટની ફોટોકોપી માટે ૨૬મેથી ૧૪ જૂન દરમ્યાન ઓનલાઇન અરજી કરી શકાશે. વિદ્યાર્થીઓને પાંચમી જૂનથી કોલેજોમાં માર્કશીટ મળી શકશે. રીવેલ્યુએશન માટે વિદ્યાર્થીઓએ ઉત્તરવહીની ફોટોકોપી લેવી જરૃરી છે.


