મહાબળેશ્વર અને પંચગણી પર્યટનસ્થળ પ્રવાસીઓ માટે ખૂલ્લાં મૂકાયાં
- લોકડાઉનમાં શિથિલતા આવતાં
- તમામ પ્રવાસીઓની પ્રવેશદ્વાર પર એન્ટિજન ટેસ્ટ કે નેગેટિવ રીપોર્ટ જરુરી
(પ્રતિનિધિ દ્વારા) મુંબઈ, : છેલ્લાં દોઢ વર્ષથી ઘરમાં બેસીને હવે લોકો કંટાળી ગયા છે. ત્યારે રાજ્યમાં કોરોનાના કેસમાં થોડો ઘટાડો થયો છે. ત્યારે રાજ્યમાં મહાબળેશ્વર અને પંચગણી આ બંને પર્યટનસ્થળો ખૂલ્લા મૂકવામાં આવ્યા છે. જેના કારણે લોકોએ હવે આ પર્યટન સ્થળોએ પોતાનો કાફલો માંડયો છે. આથી પર્યટનસ્થળે ભીડ જમા થઈ રહી છે. જોકે આ બંને પર્યટનસ્થળોએ પ્રવેશદ્વાર પર જ એન્ટિજન ટેસ્ટની સુવિધા કરાઈ છે. ટેસ્ટ બાદ જ પ્રવાસીઓને પ્રવેશ અપાય છે. અન્યથા તેમને પાછાં મોકલવામાં આવે છે.
ઉક્ત પર્યટનસ્થળો સોમવારથી ફરી ધમધમવા માંડશે ત્યારે આ બંને શહેરના ખાનગી બંગલા ચાલકો, હૉટેલ સંચાલક-માલિક, કર્મચારીએ મહિનાભરમાં રસીકરણ કરાવી લેવું જરુરી છે. લોકડાઉનમાં શિથિલતા આવતાં મહાબળેશ્વર અને પાંચગણી પર્યટનસ્થળો ખૂલ્લા મૂકવાનો નિર્ણય પ્રાંતાધિકારી સંગીતા ચૌગુલેએ લીધો છે.જિલ્લાધિકારીઓએ તમામ દુકાનો અને આસ્થાપનાઓ ચાલું રાખવાની પરવાનગી આપી છે. પરંતુ માર્કેટમાં ભીડ કરી શકાશે નહીં. કોરોનાના નિયમો તથા સોશિયલ ડિસ્ટંસિંગનું પૂરતું પાલન કરવાનું રહેશે. તેમજ સપ્તાહાંતે શનિ-રવિ બધુ બંધ રહેશે, એવી માહિતી પણ સૂત્રો દ્વારા મળી છે. આથી પ્રવાસીઓએ ખૂબ સાચવી અને તમામ તકેદારી લઈ બહાર જવું તે હિતાવહ છે.
મહાબળેશ્વર અને પાંચગણી સ્થિત હૉટેલ તેમજ ખાનગી બંગલાના સંચાલક, માલિકો તેમજ કર્મચારીઓએ એક મહિનામાં રસી મૂકાવવી ફરજિયાત છે. ઉપરાંત દર દસ દિવસે સંચાલક, કર્મચારીએ રેપિડ અથવા આરટીપીસીઆર ટેસ્ટ કરવી પણ ફરજિયાત કરાઈ છે. એ સાથે જ બુકિંગના સમયે હૉટેલ તેમજ ખાનગી બંગલોમાં આવનારા પર્યટકોની ટેસ્ટ પણ કરવી જરુરી છે. ૭૨ કલાક પહેલાંની નેગેટિવ ટેસ્ટ હોવી જરુરી છે.