સંરક્ષણ દળની ત્રણેય પાંખોના નિવૃત્ત ફૌજીઓ પરેડમાં સામેલ થશે
મુંબઇ - દેશની રક્ષા માટે સંરક્ષણ દળની ત્રણેય પાંખોમાં ફરજ અદા કરી નિવૃત્ત થયેલા અફસરો અને જવાનો રવિવારે સવારે મરીન ડ્રાઇવ પર યોજાનારી વેટરન્સ-ડે પરેડમાં જોડાશે. રણભૂમિ પર અપ્રતીમ શૌર્ય અને હિમ્મતથી દુશ્મનોનો મુકાબલો કરીને શૌર્યચંદ્રકો મેળવનારા યોદ્ધાઓ પણ પરેડમાં સામેલ થશે.
દર વર્ષે ૧૪મી જાન્યુઆરીએ વેટરન્સ ડે ઉજવાય છે. આઝાદ ભારતના સર્વપ્રથમ લશ્કરી વડા ફિલ્ડ માર્શલ કે.એમ. કરીઅપ્પા ૧૪મી જાન્યુઆરી ૧૯૫૩માં નિવૃત્ત થયા હતા એ દિવસની સ્મૃતિમાં વેટરન્સ-ડે ઉજવાય છે. વેટરન્સ ડે નિમિત્ત મરીન ડ્રાઇવ પર એનસીપીએ પાસેથી રવિવારે સવારે ૮ વાગ્યે પરેડ શરૃ થશે અને ૯.૩૦ વાગ્યે પૂરી થશે.
વેસ્ટર્ન નેવલ કમાન્ડના વડા વાઇસ એડમિરલ ક્રિષ્ના સ્વામીનાથન પરેડને ફલેગ ઓફ કરે એવી શક્યતા છે. પરેડમાં ૫૦૦ થી વધુ નિવૃત્ત ફૌજીઓ ઉપરાંત એનસીસીના કેડેટો જોડાશે અને આર્મી બેન્ડ તરફથી શૌર્યગીતોની સૂરાવલી રેલાવવામાં આવશે.


