Mumbai

જંગલને બદલે શેરડીના ખેતરોમાં ઉછરી રહેલાં દીપડાંનાં બચ્ચાં

By GS TEAM
2 Jan 20262 mins read
જંગલને બદલે શેરડીના ખેતરોમાં ઉછરી રહેલાં દીપડાંનાં બચ્ચાં

ટ્રેક્ટરોની ઘરઘરાટી વચ્ચે શુગરબેબીનો ઉછેર

પુણેના જુન્નરમાં ૭૦ ટકા દીપડાનો ખેતરોમાં જ વસવાટઃ માનવજીવન વચ્ચે જ રહેવાનું પસંદ

મુંબઇ -  પુણે જિલ્લામાં દીપડાના ભારે આતંકને નાથવા માટે ફોરેસ્ટ ખાતાને હજી સુધી સફળતા નથી મળી. આ વાસ્તવિક્તા વચ્ચે જુન્નરમાં જંગલોને બદલે શેરડીના ખેતરોમાં ઉછરતી દીપડાની નવી પેઢીની જાણકારી મળી છે.

જંગલ ખાતાવાળા હલવાશથી શેરડીના ખેતરોમાં રહેતા દીપડાઓને શુગર બેબી તરીકે ઓળખે છે. હકિકત છે કે ખેતરોની વચ્ચે ઉછરતા દીપડા જંગલોને ભૂલી ખેતરોને જ પોતાનો પ્રાકૃતિક આવાસ માને છે. દીપડીઓ પોતાના બચ્ચાને ટ્રેક્ટરો અને વાહનોના અવાજ, ખેડૂતો અને ખેતમજૂરોનો શોરબકોર વચ્ચે નાની કેડીઓ ઉપર જ અવરજવર કરી જીવવાનું શીખવે છે. એટલે આ દીપડા માણસથી ડરતા નથી, પણ માણસોને પોતાના જીવનનો હિસ્સો માને છે. શિકારની શોધ, હરવા- ફરવાનો અને આસપાસના ઇલાકાને સમજવાની  દ્રષ્ટિ પૂરેપૂરી ખેતરો પર આધારિત છે.

જંગલ ખાતાવાળા અવારનવાર દીપડાઓને પકડીને જંગલમાં દૂર દૂર મૂકી આવે છે, છતાં થોડા દિવસમાં જ ખેતરોમાં પાછા આવી જાય છે. જાણે કુદરતી જી.પી.એસ. સિસ્ટમ એકદમ  સક્ષમ હોય એવી રીતે જંગલના અંતરિયાળ ભાગમાં મૂકી આવવામાં આવે તો પણ પાછા ખેતરોમાં આવી જાય છે. આમ પશ્ચિમ મહારાષ્ટ્રમાં ૭૦ ટકા દીપડા ખેતરોમાં જ વસવાટ કરે છે. ખેતરોમાં દીપડાની આબાદી ઝડપથી વધી રહી છે તેની સાથે હુમલાનું જોખમ પણ વધતું જાય છે.

ખેડૂતો અને ગ્રામજનો દીપડાને ભગાડવા માટે ફટાકડા ફોડે કે પછી પતરાના  ડબ્બા પર દાંડી પીટી શોરબકોર કરે તેની દીપડાઓ પર કોઇ અસર નથી થતી. આમ દીપડા જંગલમાંથી આવીને ગ્રામવિસ્તારમાં ઘૂસી હુમલા કરે છે એ માન્યતા ખોટી ઠરી છે. કારણ કે આ દીપડા તો ખેતરોમાં જ વસે છે અને માનવવસ્તીમાં પગપેસારો કરી શિકાર કરે છે કે હુમલા કરે છે, આમ વનઅધિકારીઓ માટે આ ખેતરવાસી દીપડાઓનો સામનો કરવ ાનો જાણે પડકાર ઉભો થયો છે.