ખરાતનાં કરતૂતોની વિગતોથી એસઆઈટી પણ દંગ
આવકવેરા વિભાગ સહિતની ટીમમો તપાસમાં જોડાઈઃ ખરાત સાથે સંકળાયેલા લોકોની મિલ્કતોની પણ તપાસ શરુ
મુંબઇ - બની બેઠેલા 'ગોડમેન' ખરાતની તપાસમાં દરરોજ નવી માહિતીઓ સામે આવી રહી છે. ખરાતની કરતૂતોની તપાસ માટે બનાવવામાં આવેલી સ્પેશિયલ ઇન્વેસ્ટીગેશન ટીમ (સીટ)ના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે ખરાતની તપાસમાં ૧૫૦૦ કરોડ રૃપિયાની સંપત્તિ અને ૧૦૦ થી વધુ વાંધાજનક વીડિયો મળી આવ્યા છે. આ અધિકારીએ જણાવ્યું હતું કે આ વિગત સામે આવ્યા બાદ નાસિક પોલીસ અને આવકવેરા વિભાગને પણ તપાસમાં જોડવામાં આવ્યા છે.
નાસિક જિલ્લાના સિન્નર ખાતે એખ મંદિર ટ્રસ્ટના વડા અને વર્ષોથી ઘણા રાજકીય નેતાઓ જેમની અવારનવાર મુલાકાત લેતા તેવા ખરાત સામે ૧૮ માર્ચે ૩૫ વર્ષની એક મહિલાએ બળાત્કારનો આરોપ લગાવ્યો હતો. મહિલાની ફરિયાદ મુજબ ખરાતે ત્રત્ર વર્ષ સુધી અવારનવાર તેના પર બળાત્કાર ગુજાર્યો હતો. મહિલાની ફરિયાદના આધારે ગુનો નોંધી પોલીસે ખરાતની ધરપકડ કરી હતી.
ત્યાર બાદ સાત મહિનાની ગર્ભવતી મહિલા અને બીજી એક મહિલાના પુનર્લગ્ન કરાવવાને બહાને તેણે આ મહાલાઓ પર પણ અત્યાચાર ગુજાર્યો હોવાથી તેમની ફરિયાદના આધારે વધુ બે કેસ નોંધવામાં આવ્યા હતા.
આ અધિકારીએ વધુ વિગત આપતા જણાવ્યું હતું કે એસઆઇટીને ખરાતની લગભઘ ૧૫૦૦ કરોડ રૃપિયાની સંપત્તિ અને ૧૦૦ થી વધુ વાંધાજનક વીડિયો મળી આવ્યા બાદ આવકવેરા વિભાગે તેના સંબંધિત લોકોની મિલ્કતોની પણ તપાસ શરૃ કરી છે. જ્યારે સાયબર પોલીસ ખરાતના વાંધાજનક વીડિયોન ી તપાસ કરી રહ્યું છે. ખરાત પ્રકરણની ગંભીરતાને ધ્યાનમાં રાખી અલગ-અલગ એજન્સીઓ સહ્યોગ સાધી તપાસ ચલાવી રહી છે એમ તેમણે ઉમેર્યું હતું.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે તપાસનો વ્યાપ વધારવાનો આશય ડિજિટલ ફોરેન્સિક અને નાણાકીય ટ્રેલ્સ સહિત પુરાવાની જટિલ બાબતની વિગતો મેળવવાનો છે.
આઇપીએસ અધિકારી તેજસ્વિની સાતપુતેની આગેવાની હેઠળ એસઆઇટીએ છ કેસોની તપાસ શરૃ કરી છે અને ગુનાહિત કેસો સંબંધિત કોઇ પણ માહિતી સાથે આગળ આવવાની અપીલ કરી છે. અધિકારીઓએ જણાવ્યુ ંહતું કે તેમણે લોકોને ખાતરી આપી છે કે આરોપીના ગુનાની માહિતી આપનારની ઓળખ ગુપ્ત રાખવામાં આવશે તેમણે જણાવ્યું હતું કે તપાસ ટીમમાં ક્રાઇમ બ્રાન્ચના પાંચથી દસ અધિકારીઓનો સમાવેશ થાય છે. જેના પીડિતોના સંવેદનશીલ નિવેદનો સાંભળવા માટે મહિલા કર્મચારીઓનો પણ સમાવેશ થાય છે.


