મુંબઈ, તા.30 જાન્યુઆરી 2020, ગુરુવાર
ચિંચપોકલીની કસ્તુરબા હોસ્પિટલમાં મુંબઈની એક માત્ર ક્વોરેન્ટાઈન ફેસિલિટી (ચેપી રોગના દર્દીઓ માટેની અલાયદી સુવિધા) છે. ૧૦ વરસ પહેલા એચ૧એન૧ (સ્વાઈન ફલુ)ના ઉપદ્રવ દરમ્યાન ઉતાવળે આ ફેસિલિટી ઊભી કરવામાં આવી હતી. અંગ્રેજીમાં એને આઈસોસેશન યુનિટ પણ કહેવામાં આવે છે. મહાપાલિકાના સૂત્રોના જણાવ્યા મુજબ ૧૦ બેડનું નવું યુનિટ બાંધવા માટેનો પ્રસ્તાવ મંજૂર થઈ ગયો છે અને એનું કામ માર્ચ મહિનામાં શરૂ થઈ શકે છે આ અલાયદા વોર્ડમાં નેગેટીવ પ્રેશર રૂમ્સ અને એર ફિલ્ટરેશનની સુવિધા હશે.
કસ્તુરબા હોસ્પિટલના બીજા માળે ૨૮ બેડ ધરાવતા વોર્ડ નંબર ૩૦ ખાતેના આઈસોલેશન યુનિટમાં બેસિક એરકન્ડિશનીંગ પણ નથી. છથી આઠ બેડને કાચના ક્યુબિકલ્સ એકબીજાથી જુદા રખાયા છે જ્યારો કોરિડોરમાં ચાર સિંગલ રૂમ છે. પાલિકાના એક અધિકારીના જણાવવા મુજબ હોસ્પિટલની ઈમારતના ગ્રાઉન્ડ ફલોરમાં આ ફેસિલીટી ઊભી કરવાનું વિચારાયું છે એ વિજ્ઞાાનના ધોરણો પ્રમાણેનું એકદમ અત્યાધુનિક યુનિટ હશે.
કસ્તુરબા હોસ્પિટલ ખાતેનાં શહેરના એક માત્ર આઈસોલેશન યુનિટને અપગ્રેડ કરવાનો પ્રસ્તાવ ઘણાં વખતથી પેન્ડિંગ હતો એને થોડા વખત પહેલાં જ બહાલી અપાઈ છે. પાલિકા અધિકારીએ એવો ખુલાસો કર્યો હતો કે એને કોરોના વાઈરસ સાથે કોઈ સંબંધ નથી.
એક આદર્શ આઈસોલેશન યુનિટમાં હવાની આવજાને નિયંત્રણમાં રખાય છે. જેથી હવામાન ચેપી રજકણો ઘટીને નહિંવત થઈ જાય અને ક્રોસ ઈન્ફેકશનની કોઈ શક્યતા ન રહે હવાના પ્રવાહ અને એની ગુણવત્તાને અંકુશમાં રાખવાથી એ શક્ય બને છે.
કેન્દ્ર સરકારની એક ટીમ તાજેતરમાં કસ્તુરબા હોસ્પિટલના આઈસોલેશન યુનિટની મુલાકાતે આવી હતી. આ ટીમે યુનિટમાં બે બેડ વચ્ચેના અંતક, ઈન્ફેકશન કન્ટ્રોલની પ્રવૃત્તિ અને તબીબી કચરાના નિકાલની પદ્ધતિનાં ફેરફારો કરવાની ભલામણો કરી હતી.


