કલ્યાણ- ડોમ્બિવલીમાં 66 બિલ્ડરો સામેના ફ્રોડ કેસમાં ઇડીની તપાસ
કેડીએમસી પાસે દસ્તાવેજોની માગણી કરી
મહાપાલિકાની બનાવટી રજાચિઠ્ઠી રજૂ કરી રેરામાં નોંધણી કરાવી હતી
મુંબઇ : કલ્યાણ- ડોમ્બિવલીમાં બિલ્ડરો દ્વારા મહાનગર પાલિકાની બનાવટી રજા ચિઠ્ઠી બનાવવાના કેસ પ્રકરણમાં ઇડીની એન્ટ્રી થઇ છે. કલ્યાણ- ડોમ્બિવલી મહાનગરપાલિકા પાસે ઇડીના અધિકારીઓએ દસ્તાવેજોની તપાસ માટે માગણી કરી છે.
કલ્યાણ ડોંબિવલી મહાનગરપાલિકા ( કેડીએમસી)ના સક્ષમ અધિકારીઓની બનાવટી સહી, સ્ટેમ્પનો ઉપયોગ કરીને બાંધકામની પરવાનગી મળી ગઇ હોવાનું દર્શાવીને રેરા ઓથોરિટી પાસેથી નોંધણી સર્ટીફિકેટ મેળવવાના મામલામા મહાનગરપાલિકાએ નોંધાવેલી ફરિયાદના આધારે ં ડોમ્બિવલીના માનપાડા, રામનગર પોલીસ સ્ટેશનમાં ૬૬ બિલ્ડરો સામે કેસ દાખલ કરાયો હતો.
આ ગુનાની તપાસ કરવા સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ (એસઆઇટી)ની નિમણૂંક કરવામાં આવી છે. પોલીસ તપાસ ચાલી રહી છે તે દરમિયાન હવે ઇડીએ આ મામલાની તપાસ કરવા માટે મહાપાલિકા કમિશનર પાસેથી કેસ સંબંધિત દસ્તાવેજોની માગણી કરી છે.
આ બિલ્ડરોએ બનાવટી દસ્તાવેજોના આધારે રેરાનું રજીસ્ટ્રેશન મેળવી લીધું હતું. તેમણે તેમની પાસેથી પ્રોપર્ટી ખરીદનારાઓને પણ આ બોગસ રજાચિઠ્ઠી બતાવીને છેતર્યા હતા.
આ કેસમાં સામાન્ય નાગરિકો ઉપરાંત સરકાર, સરકારી ઓથોરિટી સાથે છેતરપિંડી કરાઇ હતી. આથી આ કેસ ગંભીર છે.
મોટા આર્થિક કૌભાંડની માહિતી ઇડીને આપવામાં આવે છે. એસઆઇટીએ આ ગુનાની માહિતી ઇડીને આપી છે. તેના આધારે ઇડીએ મહાપાલિકાને કમિશનર પાસે આ કેસના દસ્તાવેજોની માગણી કરી છે. પાલિકાએ આ વાતને સમર્થન આપ્યું છે. હવે આ કેસની તપાસ કદાચ ઇડી કરશે એમ કહેવાય છે.