કબૂતરખાના માટે બીએમસી વૈકલ્પિક જગ્યા આપેઃ જૈન સમુદાયની માંગ

જૈન સંગઠનોની બીએમસી કમિશનરને રજૂઆત
કેસ અદાલતમાં પડતર હોવાથી બીએમસી જગ્યાઓની યાદી કોર્ટને સુપરત કરશે
મુંબઈ - મુંબઈના નાગરિકોને ત્રાસ ન થાય એવી વૈકલ્પિક જગ્યા કબૂતરખાના માટે ઉપલબ્ધ કરવાનો અનુરોધ જૈનોના પ્રતિનિધિમંડળે આજે મહાપાલિકા સત્તાવાળાને કર્યો હતો.
મુંબઈમાં કબૂતરખાનાના મામલે ચાલી રહેલા વિવાદ અને વિરોધ તથા કબૂતરખાનાના સમર્થનમાં જૈન સમાજ સંગઠિત અવાજ ઉઠાવવામાં આવ્યો છે. આ બાબતમાં જૈન સમાજના પ્રતિનિધિમંડળે આજે મુંબઈના મ્યુનિસિપલ કમિશનર ભૂષણ ગગરાણીની મુલાકાત લીધી હતી અને કબૂતરખાના માટે પર્યાપ્ત જગ્યા ઉપલબ્ધ કરવાની માગણી કરી હતી.
કમિશનર ગગરાણીએ જણાવ્યું હતું કે વૈકલ્પિક જગ્યા શોધ્યા બાદ તેની માહિતી અદાલતને સુપરત કરવામાં આવશે.
કબૂતરોને લીધે શ્વસનતંત્રની બીમારીનું જોખમ રહે છે એ મુદ્દે મુંબઈમાં કબૂતરખાના પાલિકાએ બંધ કરાવ્યા છે. આ સંદર્ભમાં શ્રી મુંબઈ જૈન સંઘ સંગઠનના નેજા હેઠળ જૈનોનું પ્રતિનિધિ મંડળ કમિશનરને મળ્યું હતું. કમિશનર ગગરાણીએ જણાવ્યું હતું કે કબૂતરખાનાની બાબત અદાલતમાં પડતર હોવાથી વૈકલ્પિક જગ્યા અંગેની માહિતી અદાલતને સુપરત કરવામાં આવશે એમ બીએમસીની સત્તાવાર યાદીમાં જણાવાયું હતું.









