લઘુમતી શિક્ષણ સંસ્થાઓમાં અનામત બેઠકો સામે જૈન કોલેજો હાઈકોર્ટમાં
બોમ્બે હાઈકોર્ટ તથા નાગપુર બેન્ચમાં અલગ અલગ અરજીઓ
નોન-માઈનોરિટી સીટ્સ પર એસસી, એસસી, ઓબીસી
અનામત લાગુ થવાથી સીટ શેર અડધો થઈ ગયો
મુંબઈ - સંસ્થાની નોન-માઈનોરિટી એફવાયજેસી (ધો.૧૧)ની સીટ્સમાં એસસી, એસટી અને ઓબીસી અનામતનો સમાવેશ કરવા બાબતે ચાર જૈન માઈનોરિટી સંસ્થાઓ દ્વારા બોમ્બે હાઈકોર્ટ અને તેની નાગપુર બેન્ચમાં બે અલગ અલગ અરજીઓ કરાઈ છે. મંગળવારે મહારાષ્ટ્ર એસોસિએશન ઓફ માઈનોરિટી એજ્યુકેશનલ ઈન્સ્ટિટયુશન્સ, મુંબઈએ પણ ત્રણ કોલેજો સાથે હાઈકોર્ટમાં યાચિકા દાખલ કરી છે. મુંબઈ સ્થિત અરજદારોએ તેમની અરજીમાં મેનેજમેન્ટ અને ઈન-હાઉસ ક્વોટા બેઠકોની ખોટી ગણતરી પણ ઉમેરી છે, જેના કારણે તેમનો સીટ શેર અડધો થઈ ગયો છે.
સંસ્થાઓએ રાજ્યના આ નિર્ણયને અન્યાયી તથા ગેરબંધારણીય ગણાવ્યો છે. પરંતુ સરકારી અધિકારીઓનું કહેવું છે કે, લઘુમતી બેઠકો પર અનામત લાગુ કરાઈ નથી. જે સી હાઈસ્કૂલ એન્ડ જૂનિયર કૉલેજ (કરંજા એજ્યુકેશન સોસાયટી-વાશીમ), સીતાબાઈ સંગાઈ હાઈસ્કૂલ એન્ડ કૉલેજ (અમરાવતી), જે ડી ચાલરે વિદ્યામંદિર (શ્રી મહાવીર શિક્ષણ પ્રસારક મંડળ) અને વાલચંદ કોલેજ ઓફ આર્ટ્સ એન્જ સાયન્સ (એપીડી જૈન પાઠશાળા)એ અરજી દાખલ કરી છે. આ પીટીશનમાં ક્રિશ્ચન માઈનોરિટીની કોલેજો પણ જોડાવાની ધારણા છે.
સરકારે કેન્દ્રીયકૃત પ્રવેશ પોર્ટલ પર તેમના સીટ્સ મેટ્રિક્સ મૂક્યા પછી ઘણી કૉલેજોએ તેમની એફવાયજેસીની સીટ્સના બેઠકોના સમીકરણમાં ફેરફાર નોંધ્યો હતો. ગયા વર્ષ સુધી પ્રવેશ માટે લઘુમતી સંસ્થામાં સામાજિક અનામત લાગુ પડતી નહોતી. એક સંસ્થાના અધિકારીએ જણાવ્યું કે, છઠ્ઠી મેનો સરકારી ઠરાવ એ માત્ર માઈનોરિટી ક્વોટામાં ખાલી બેઠકો પર સામાજિક અને સમાંતર અનામત લાગુ કરવાની વાત કરે છે. આદેશમાં એવું પણ ઉલ્લેખાયું છે કે, માઈનોરિટી સીટ્સ છોડવી ફરજિયાત નથી. સર્ક્યુલરમાં નોન-માઈનોરિટી સીટ્સનો ઉલ્લેખ નથી. આથી તેમાં ફેરફાર અને સુધારા કરી જૂની નીતિનુસાર પ્રવેશ આપવો જોઈએ.