19 વર્ષ પહેલાંના કેસનો હવે ચુકાદો આવ્યો
અસેસમેન્ટ ફાઈનલાઈઝ કરવાના બદલામાં ૨૦ હજાર રુપિયાની લાંચ માગી હતી
મુંબઈ - ટેક્સ સિક્યોરિટી એસસમેન્ટ નક્કી કરવા માટે રૃ. ૨૦ હજારની લાંચ લેવાના ૧૯ વર્ષ જૂના કેસમાં થાણેની વિશેષ સીબીઆઈ કોર્ટે આવકવેરા ખાતાના માજી અધિકારીને છ મહિનાની સખત કેદની સજા સંભળાવી છે.
સ્પેશ્યલ જજ (સીબીઆઈ) દેશમુખે આરોપી દીનાનાથ પુથરન (૭૭) પર ચાર હજારનો દંડ પણ લાદ્યો હતો. કેસના અન્ય આરોપી ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ અને ટેક્સ આસિસ્ટંટને પુરાવાના અભાવે મુક્ત કરાયા હતા.
પુથરન વાશીમાં આવકવેરા ખાતાના અધિકારી તરીકે ફરજ પર હતા ત્યારે ૨૦૦૭નો કેસ છે. કંપનીના મેનેજિંગ ડિરેક્ટર સામરાજ નાઈકરે સીબીઆઈ એસીબીને ફરિયાદ કરીને આરોપ કર્યો હતો કે કંપનીની અને તેમની પત્નીની ટેક્સ ફાઈલોનું સ્ક્રુટીની ફાઈનલાઈઝ કરવાના બદલામાં પુથરન તેની પાસે રૃ. ૪૦ હજારની લાંચ માગીને પજવે છે.
ત્રીજી જાન્યુઆરી ૨૦૦૭ના રોજ પુથરનને ૨૦ હજારની રકમ લેતાં ધરપકડ કરવામાં આવી હતી. સીએ જયંત અધ્યાપક સામે પ્રેરીત કરવા અને ટેક્સ આસિસ્ટંટ પ્રકાશ નેવરેકર સામે એક હજારની લાંચ સ્વીકારનો આરોપ લગાવાયો હતો.


