સંતાન પાસેથી ભરણપોષણ મેળવવા તેમની સાથે રહેવું જરૂરી નથી : હાઇકોર્ટ
- ગૌરવપૂર્ણ જીવન જીવવા માતાપિતા જુદા રહી શકે છે તેવું અવલોકન
- વાશિમની એક માતાને ભરણપોષણ નહીં આપવા પુત્રે કરેલી રિટ પીટિશન ફગાવવામાં આવી
મુંબઈ : સંતાનો પાસેથી ભરણપોષણ મેળવવા માતાપિતાએ તેમની સાથે રહવું જરૂરી નથી તેવો ચુકાદો બોમ્બે હાઇકોર્ટની નાગપુર બેન્ચે આપ્યો છે. સંતાનો પાસેથી ભરણપોષણ મેળવવાનો માતાપિતાનો અધિકાર હોવાનું હાઇકોર્ટે કહ્યું છે. સંતાનોથી જુદા રહીને માતાપિતા સંતાનો પાસેથી ભરણપોષણ મેળવી શકે છે તેવું કોર્ટે કહ્યું છે. આ ચુકાદાથી માતાપિતા આત્મગૌરવ જાળવીને શાંતિથી જુદા રહી શકે છે.
વાશિમ જિલ્લાના કેસમાં ચુકાદો આપવામાં આવ્યો છે. માતા પોતાની પુત્રીના ઘરમાં રહેતી હતી આથી ભરણપોષણ લેવાનો અધિકાર નથી તેવો દાવો પુત્રએ કર્યો હતો. બેન્ચે પોતાના ઓર્ડરમાં કહ્યું હતું કે 'સંતાન સાથે નહીં રહેવાથી માતા ભરણપોષણ માટે અપાત્ર નથી બનતા તેવું બેન્ચે કહ્યું હતું. આ કેસમાં માતાએ સંતાનને દત્તક લીધી હતો. આથી તેની માતાની કાળજી લેવાની નૈતિક જવાબદારી છે.' તેવું જસ્ટિસ આર. એમ. જોશીની સિંગલ બેન્ચે કહ્યું હતું.
માતાએ ઉપવિભાગીય અધિકારી (સબ ડિવિઝનલ ઓફિસર) સમક્ષ પુત્ર પાસેથી ભરણપોષણ મેળવવાની અરજી કરી હતી અને ૬ એપ્રિલ ૨૦૨૩થી મહિનામાં રૂપિયા બે હજારનું ભરણપોષણ મંજૂર થયું હતું. તે પછી પુત્રએ કલેક્ટર સમક્ષ અરજી કરી હતી તો કલેક્ટરે ભરણપોષણની રકમ વધારીને રૃા. ૧૦,૦૦૦ કરી હતી.
માતાની વય ૭૭ વર્ષની છે. તેમની પાસે આવકનો કોઈ સ્ત્રોત નથી. પુત્રએ તેને ઘર છોડવા મજબૂર કર્યા હતા અને તે પોતાની પુત્રી સાથે રહેતા હતા જે પોતે વિધવા છે. પુત્ર કૃષિની જમીન ધરાવે છે અને પોતાના પરિવારનું ભરણપોષણ કરી શકે છે. રૂ. ૧૦,૦૦૦ની રકમ વધુ પડતી છે તેવું દર્શાવતા કોઈ પુરાવા રજૂ કર્યા નથી. સંતાને ભરણપોષણ નહીં આપવા અંગે કરેલી રિટ પીટિશન નાગપુર બેન્ચે ફગાવી દીધી હતી.