આવતીકાલે એસએનડીટી 110 વર્ષ પૂર્ણ કરશે
દેશની 50થી વધુ યુનિવર્સિટીઓ જોડાશે, વિદ્યાર્થિનીઓનાં સ્ટાર્ટઅપ્સ પ્રસ્તુત કરાશે
મુંબઇ - દેશભરની ઉદ્યોજકતા અને નવી કલ્પનાઓને પ્રોત્સાહન આપતાં રાષ્ટ્ર સ્તરીય એક વિશેષ કાર્યક્રમ 'ઈનોવેશન મહાકુંભ ૨૦૨૫'નું રવિવારે નવમી નવેમ્બરે એસએનડીટી યુનિવર્સિટીના જુહૂ કેમ્પસમાં આયોજન કરવામાં આવ્યું છે.
દેશભરની કુલ ૫૦ થી વધુ યુનિવર્સિટીના કુલગુરુ, ૩૦૦ થી વધુ ઉદ્યોગ સાહસિકો તેમજ દેશભરની વિવિધ યુનિવર્સિટીની સંશોધક વિદ્યાર્થિનીઓ આ મહાકુંભમાં ઉપસ્થિત રહેવાના હોવાની માહિતી યુનિવર્સિટીના કુલગુરુ ડૉ.ઉજ્જ્વલા ચક્રદેવે આપી હતી.
મહર્ષિ ધોંડો કેશવ કર્વેએ સ્થાપિત કરેલી એસએનડીટી યુનિવર્સિટીને નવમી નવેમ્બરે ૧૧૦ વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે. તેને પગલે આ મહાકુંભનું આયોજન કેન્દ્ર તથા રાજ્ય સરકારના સંયુક્ત ઉપક્રમે કરાયું છે. તેમાં એસએનડીટી તથા અન્ય યુનિવર્સિટીની ૧૧૦થી વધુ વિદ્યાર્થિનીઓનાં સ્ટાર્ટ અપ પણ રજૂ કરાશે.
આ ઉપક્રમ માટે ૨૦૦ પ્રાધ્યાપકોને ઉદ્યોગ સાહસિકતા વિકાસ પ્રશિક્ષણ અપાયું છે, તેમજ ૩૦૦થી વધુ વિદ્યાર્થી ઓનાં ઈનોવેશન્સ પસંદ કરાયાં છે. પીએમ-ઉષા અને રુસા સ્કીમ હેઠળ તૈયાર કરાયેલ ૧૫૦થી વધુ વિદ્યાર્થિનીઓનાં પ્રોટોટાઈપ તેમજ સ્ટાર્ટઅપ કલ્પના વિદ્યાર્થી ટીમ દ્વારા વિશેષ પ્રદર્શન સ્ટોલમાં રજૂ કરાશે. જેમાં આરોગ્યસંભાળ, સ્માર્ટ હાર્ડવેર, એઆઈ અને ટકાઉ ટેક્નોલોજી જેવા મહત્ત્વપૂર્ણ ક્ષેત્રોને આવરી લેવાશે.


