સમગ્ર સાસરિયાંને કેસમાં સંડોવી 498મી કલમના દુરુપયોગમાં વધારોઃ કોર્ર્ટ
પતિ સામે જ કેસ હોય છતાં પરિવારના તમામ સભ્યોને સંડોવી દેવાય છે
અન્ય સભ્યોએ પણ નાહકની ફોજદારી કાર્યવાહીનો સામનો કરવો પડે છે ઃ નાગપુરનની મહિલાનો કેસ ફગાવતાં હાઈકોર્ટનું તારણ
મુંબઈ - પરિવારના સાત સભ્યો સામે દાખલ કરાયેલી એફઆઈઆર રદ કરતી વખતે બોમ્બે હાઈકોર્ટની નાગપુર બેન્ચે અંગત દ્વેષ પૂરો કરવા પતિના પરિવારના તમામ સભ્યોને સંડોવીને મહિલાઓના હાથે કાયદાની કલમ ૪૯૮(એ)નો દુરુપયોગ થઈ રહ્યો હોવાની નોંધ કરી હતી.
પતિના આખા પરિવારને ફોજદારી કેસોમાં સંડોવવાની મહિલાઓની વધી રહેલી પ્રવૃત્તિઓ પ્રત્યે કોર્ટે ચિંતા વ્યકત કરીને જણાવ્યું હતું કે પતિના પરિવારના સભ્યોને ફોજદારી કેસનો સામનો કરવો પડે છે જ્યારે તેમની સામે કોઈ પ્રથમદર્શી કેસ હોતો નથી, એમ જજે આદેશમાં નિરીક્ષણ કર્યું હતું. ૩૦ ઓગસ્ટ ૨૦૨૩ના રોજ દાખલ થયેલી એફઆઈઆરમાં પત્નીએ આરોપ કર્યો હતો કે બીજી જૂન ૨૦૧૪ લગ્ન બાદ પતિ અને તેના પરિવારના સભ્યો દ્વારા માનસિક અને શારીરિક ક્રૂરતા આચરવામાં આવતી હતી. ભીખારીની દીકરી છે અને તેને કોઈ પસંદ કરતું નથી, લગ્નમાં દહેજ ઓછું લાવવા બદલ અપમનાનીત કરવામાં આવી હોવાનો આરોપ કર્યો હતો.
સાસરિયાએ દલીલ કરી હતી કે વિવાદ માત્ર પતિ અને પત્ની વચ્ચેનો છે અને મહિલાએ વેર વાળવા ખોટા આરોપ કર્યા છે. ૨૦૨૨માં ફરિયાદી સાસરિયેથી કહ્યા વિના જતી રહી અને પતિ અને સાસરિયાની ફરિયાદ પર પોલીસે તેને શોધી કાઢી હતી.
પતિએ બુલઢાણાની ફેમિલી કોર્ટમાં છૂટાછેડા માટે અરજી કરી રાખી છે અને ચુકાદો આવવાનો બાકી છે. અઆથી ૨૦ જૂન ૨૦૨૨થી પતિ અને પત્ની વચ્ચે વિખવાદ રહ્ય છે. આખી એફઆઈઆર અને તેનું નિવેદન પરથી જણાય છે કે પતિ સામે જ તેની મુખ્ય ફરિયાદ છે. પતિ ચારિત્ર્ય પર શંકા કરે છે અને તેને પતિએ મારી હતી. આથી પતિ સામેના આરોપો નકારી શકાય નહીં એમ નોંધીને કોર્ટે પતિ સામેનો કેસ રદ કરવાનો ઈનકાર કર્યો હતો. જોકે સાસરિયા અને નણંદ સામેના આરાપો સામાન્ય પ્રકારના હોવાની નોંધ કરીને કોર્ટે નોંધ્યું હતું કે તેના સમર્થનમાં કોઈ વિગતો અપાઈ નથી. કોર્ટે સાસરિયા સામેનો કેસ રદ કર્યો હતો.