રાણીબાગમાં વેકેશનમાં પર્યટકોની ફીથી અઢી કરોડનની આવક
વેકેશનમાં રાણીબાગમાં ટંકશાળ પડી
એપ્રિલથી છઠ્ઠી જૂન દરમ્યાન સવા છ લાખ પર્યટકોએ રાણીબાગની મુલાકાત લીધી
મુંબઈ - ઉનાળાની રજા પડે કે નાના બાળકોને ગાર્ડન યાદ આવતું હોય છે. ભાયખલા સ્થિત વીર જીજામાતા ભોસલે ઉદ્યાન તેમજ પ્રાણી સંગ્રહાલય અર્થાત્ રાણીબાગમાં પણ પર્યટકોએ બે મહિનામાં સારી ભીડ જમાવી હતી. સવા છ લાખ પર્યટકોએ રાણીબાગની મુલાકાત લીધી હતી. તેના થકી પ્રશાસનને અઢી કરોડની આવક થઈ છે.
રાણીબાગના આધુનિકીકરણનું કામ ગત કેટલાંક વર્ષોથી ઝડપભેર થઈ રહ્યું છે. અહીં ઉદ્યાનો નવેસરથી બનાવાયા છે. બાળકો માટે મનોરંજનના સાધનો, દેશી-વિદેશી પક્ષીઓ પણ અહીં રખાયા છે.
૨૦૧૬માં અહીં પેંગ્વિન લાવવામાં આવ્યા હતાં. ત્યારથી એકતરફ પ્રાણીઓની સારસંભાળનો ખર્ચ વધી ગયો છે. આથી જ પાલિકાએ રાણીબાગની ટિકીટ નાના બાળકો માટે ૧૫ રુપિયા અને પ્રૌઢ માટે ૨૫ રુપિયા રાખી છે. ચાર જણના એક કુટુંબ માટે ૧૦૦ રુપિયાની ટિકીટ રખાઈ છે. રાણીબાગમાં આવતા પર્યટકોને વાઘ, સિંહ જેવા પ્રાણીઓ પણ જોવા ગમતાં હોય છે. આથી તેમના પિંજરા સામે પર્યટકોની મોટી ભીડ રહેતી હોય છે.
એપ્રિલ મહિને રાણીબાગમાં ૨,૩૯,૦૦૩ પર્યટકોએ હાજરી આપી હતી. જેના થકી પ્રશાસનને ૯૩,૦૬,૬૭૦ રુપિયાની આવક થઈ હતી. તે જ રીતે મે મહિને ૨,૯૬,૭૧૧ પર્યટકોની મુલાકાતથી રાણીબાગને ૧,૧૩,૫૦,૦૩૦ રુપિયાની કમાણી તો જૂનની ૧૦ તારીખ સુધીમાં ૮૮,૨૮૬ પર્યટકોની મુલાકાત થકી ૩૩,૭૨,૫૦૦ રુપિયાની કમાણી થઈ હતી.