Get The App

પોર્શે કાંડમાં તરુણના માતાપિતાએ હોસ્પિટલ જઈ બ્લડ સેમ્પલ બદલાવ્યાં હતાં

Updated: Jun 2nd, 2024

GS TEAM

Google News
Google News
પોર્શે કાંડમાં તરુણના માતાપિતાએ હોસ્પિટલ જઈ બ્લડ સેમ્પલ બદલાવ્યાં હતાં 1 - image


માતા-પિતાને પાંચમી જૂન સુધી રિમાન્ડ 

માતાએ પુત્રના બ્લડ સેમ્પલની જગ્યાએ પોતાનું આપ્યું હોસ્પિટલના સીસીટીવી ફૂટેજ સાથે પણ ચેડાંની આશંકા 

મુંબઈ: પુણેમાં દારુના નશામાં બેફામ પોર્શે કાર દોડાવી યુવક અને યુવતીને જીવલેણ ટક્કર મારનારા ૧૭ વર્ષીય તરુણના માતાપિતાએ જાતે જ સસૂન હોસ્પિટલ જઈ પુત્રના બ્લડ સેમ્પલ બદલાવ્યાં હતાં તેમ સ્થાનિક કોર્ટને આજે જણાવાયું હતું. 

પુણે અકસ્માત કેસમાં મુખ્ય આરોપી તરુણના પિતા વિશાલ અગ્રવાલ તથા માતા  શિવાની અગ્રવાલની પુરાવાં સાથે ચેડાં કરવાના પ્રયાસ બદલ ધરપકડ કરાઈ છે. બંનેના રિમાન્ડ માગતી વખતે પોલીસે અદાલતને જણાવ્યું હતું કે  તરુણ પુત્ર અકસ્માત સમયે દારુના નશામાં ન હતો તેવું પુરવાર કરવા માટે તેના લોહીના નમૂના બદલાવી નાખવા માટે માતા પિતા જાતે જ સસૂન હોસ્પિટલ ગયાં હતાં.  માતા પિતા બંનેને તા. પાંચમી જૂન સુધીના પોલીસ રિમાન્ડ અપાયા છે. 

તરુણના પિતા વિશાલ અગ્રવાલની અગાઉ ધરપકડ કરાઈ હતી. બાદમાં એવો ઘટસ્ફોટ થયો હતો કે તરુણ પુત્રના સ્થાને તેની માતાના જ બ્લડ સેમ્પલ બદલી નાખવામાં આવ્યાં હતાં. આ વાત બહાર આવ્યા બાદ પુરાવા સાથે ચેડાં કરવાના આરોપ સર શિવાની અગ્રવાલની પણ ધરપકડ કરાઈ હતી. 

માતા પિતા બંનેને એક ખાસ હોલીડે કોર્ટ સમક્ષ રજૂ કરાયાં હતાં. પોલીસે બંને માતા પિતાની પૂછપરછ સહિત અન્ય તપાસ માટે બંનેની કસ્ટડી જરુરી છે એમ કોર્ટને જણાવ્યું હતું અને બંનેના સાત દિવસના રિમાન્ડ  માગ્યા હતા. 

પોલીસે કોર્ટને જણાવ્યુ ંહતું કે માતા પિતાએ આ કેસમાં પુરાવા નષ્ટ કરવા માટે સાથે મળીને ગુન્હાઈત કાવતરું રચ્યું હતું અને લોહીના નમૂના બદલાવડાવી પુરાવાઓનો નાશ કર્યો હતો. 

પોલીસે કોર્ટને એમ પણ જણાવ્યું હતું કે માતા પિતા બંને હોસ્પિટલમાં જાતે ગયાં હોવાનું તપાસવા માટે તેણે હોસ્પિટલના સીસીટીવી ફૂટેજ મેળવ્યાં છે. જોકે, આ સીસીટીવી ફૂટેજમાં પણ ચેડાં   કરાયા ંછે કે કેમ તેની તપાસ હાથ ધરવાની છે. 

આરોપી યુગલ તરફથી એવી દલીલ કરવામાં આવી હતી કે પોલીસ તેમના ઘરની તપાસ કરી ચૂકી છે અને સીસીટીવી પણ કબજે કરી ચૂકી છે. યુગલ પોલીસ તપાસમાં સહકાર પણ આપી રહ્યું છે. આથી વધુ રિમાન્ડની જરુર નથી અને તેમને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલવાં જોઈએ. 

જોકે, અદાલતે આ દલીલો ગ્રાહ્ય રાખી ન હતી અને તેમને રિમાન્ડ પર રાખવાનો હુકમ કર્યો હતો. 

આ કેસમાં તરુણના દાદા સુરેન્દ્ર અગ્રવાલની પણ પરિવારનો ડ્રાઈવર અકસ્માતનું આળ પોતાના પર લઈ લે તે માટે દબાણ કરવા તેનું અપહરણ કરી માર મારવાના કેસમાં ધરપકડ થઈ ચૂકી છે. 


Tags :