Mumbai

પરભણીમાં ચાલુ બાળકને જન્મ આપ્યા બાદ બારીમાંથી ફેંકી દીધું

By GS TEAM
17 Jul 20252 mins read
પરભણીમાં ચાલુ  બાળકને જન્મ આપ્યા બાદ બારીમાંથી ફેંકી દીધું

પોલીસે બસનો પીછો કરી કપલને પકડી લીધું

આંતરધર્મિય લગ્ન અને બાળકની સંભાળ શક્ય ન હોવાથી પગલું ભર્યું હોવાની  કબૂલાત

મુંબઇ -  પરભણીમાં બનેલી એક ચોંકાવનારી ઘટનામાં ચાલતી બસમાં બાળકને જન્મ આપ્યા બાદ એક કપલે નવજાતને બસની બારીમાંથી બહાર ફેકી દીધું હતું. મહિલાનો પતિ હોવાનો દાવો કરનાર એક યુવાને નવજાતને બારીમાંથી બહાર ફેકી દેવામાં મદદ કરી હતી. નવજાત બાળક બસમાંથી રસ્તા પર પડયા બાદ તેનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. આ ઘટના બાદ સ્થાનિક પોલીસે બસનો પીછો કરી આરોપી કપલને પકડી પાડી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.

આ સંદર્ભે  વધુ વિગતાનુસાર પરભણી જિલ્લાના પાથરી- સેલુ રસ્તા પર મંગળવારે સવારે આ ઘટના બની હતી જેમા કપલે બારીમાંથી શીશુને બહાર ફેકી દેતા બાઇક પર ત્યાંથી પસાર થતા એક વ્યક્તિએ આ દ્રશ્ય જોયું હતું. આ ઉપરાંત બસમાં સવાર એક મહિલાએ પણ આ દ્રશ્ય જોયા બાદ આ વાતની જાણ પોલીસને કરતા પોલીસે બસનો પીછો કરી કપલને તાબામાં લીધું હતું. આ સમયે પહેલા આ બંનેએ પોલીસને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કર્યો હતો પણ અંતે પડી ભાંગ્યા હતા અને બંનેએ આંતરધર્મિય લગ્ન કર્યા હોવાથી તેમજ બાળકની સંભાળ શક્ય ન હોવાથી તેમણે આ કૃત્ય કર્યું હોવાનું કબૂલ્યું હતું.

આ સંદર્ભે વધુ વિગતાનુસાર રિતિકા ઢેરે (૧૯) અને અલ્તાફ શેખ (૨૧) એ એવો દાવો કર્યો હતો કે તેઓ બંને પતિ- પત્ની છે અને દોઢ વર્ષથી પુણેમાં રહે છે તેમણે આંતરધર્મિય લગ્ન કરી લીધા છે. જો કે આંતરધર્મિય લગ્ન અને તેમા પણ બાળક થવાથી તેઓ તેની સંભાળ રાખવા અસમર્થ હોવાથી તેમણે આવું પગલું ભર્યું હતું. પોલીસે જ્યારે તેમની પાસે લગ્ન સંબંધી કોઇ દસ્તાવેજ માગ્યા ત્યારે તેઓ કોઇ કાગળ રજૂ કરી શક્યા નહોતા. અંતે પોલીસે બંનેને તાબામાં લીધા બાદ મહિલાને વધુ સારવાર માટે હોસ્પિટલમાં મોકલી આપી હતી અને પરભણીના  પાથરી પોલીસ મથકમાં બીએનએસની કલમ ૯૪ (૩), (૫) (નવજાત બાળકના શરીરનો નિકાલ કરી તેનો જન્મ છુપાવવો) હેઠળ કપલ વિરુદ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.