Mumbai

10 વર્ષમાં ૧૪ હજાર લોકોએ રેલવે ટ્રેક ક્રોસ કરતાં જીવ ગુમાવ્યો

By GS TEAM
14 Aug 20252 mins read
10 વર્ષમાં ૧૪ હજાર લોકોએ રેલવે ટ્રેક  ક્રોસ કરતાં જીવ ગુમાવ્યો

જીવલેણ રેલવે અકસ્માતોમાં સૌથી વધુ મોત  ટ્રેક ક્રોસ કરવાથી 

કાંદિવલી ફરજ બજાવતા પોલીસ જવાનનું નાલાસોપારા સ્ટેશને ટ્રેક ક્રોસ કરતી વખતે મોત

મુંબઈ -  કાંદિવલીના સમતા નગર પોલીસ સ્ટેશનના  ૩૨ વર્ષીય પોલીસકર્મી ગણેશ રાઉળનું રેલવે ટ્રેક ક્રોસ કરતી વખતે મુત્યુ થયું છે.  મંગળવારે બપોરે નાલાસોપારા રેલવે સ્ટેશન પર આ અકસ્માત થયો હતો. રેલવે ટ્રેક ક્રોસ કરતી વખતે સૌથી વધુ અકસ્માતો થાય છે અને છેલ્લા ૧૦ વર્ષમાં ૧૪ હજાર લોકોએ રેલવે ટ્રેક ક્રોસ કરતી વખતે જીવ ગુમાવ્યા છે.

       ભારે ભીડને કારણે, ટ્રેનમાંથી પડી જવા, ટ્રેક ક્રોસ કરવા, પ્લેટફોર્મ પરના ગેપમાં પડવા, વીજ કરંટ લાગવા અને નાસભાગ થવાના કારણે દરરોજ રેલવે અકસ્માતો થાય છે. રેલવે ટ્રેક ક્રોસ કરવું જોખમી છે અને તેના વિશે સતત જનજાગૃતિ લાવવામાં આવી રહી છે. જો કે, રેલવે ટ્રેક ક્રોસ કરવાની સંખ્યામાં ઘટાડો થયો નથી. મંગળવારે રેલવે ટ્રેક ક્રોસ કરતી વખતે એક પોલીસકર્મીએ પોતાનો જીવ ગુમાવ્યો હતો.

પોલીસ કોન્સ્ટેબલ ગણેશ રાઉળ  પત્ની અને બે બાળકો સાથે નાલાસોપારામાં રહેતા હતા. મંગળવારે તેઓ કામ પર આવવા માટે નાલાસોપારા સ્ટેશન આવ્યા હતા. તેઓ પ્લેટફોર્મ નંબર ૪ પરથી ચર્ચગેટ તરફ જતી ટ્રેન પકડવા માંગતા હતા. જો કે, વિલંબને કારણે તેમણે સીડીનો ઉપયોગ કર્યા વિના પાટા ઓળંગવાનો પ્રયાસ કર્યો હતો. બપોરે લગભગ ૨.૩૦ વાગ્યે એક લોકલ ટ્રેન તેમને ટક્કર મારી હતી. અકસ્માતમાં તેઓ ગંભીર રીતે ઘાયલ થયા હતા. તેમને સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા, પરંતુ ગંભીર ઈજાઓથી તેમનું મૃત્યુ થયું હતું. તેમના ખિસ્સામાં રહેલા તેમના ઓળખપત્રથી તેમની ઓળખ પુષ્ટિ મળી હતી.

વસઈ રોડ રેલવે પોલીસ સ્ટેશનના સિનિયર પોલીસ ઇન્સ્પેક્ટર ભગવાન ડાંગેએ જણાવ્યું હતું. ગણેશ રાઉળ સવારે કામ પર આવે છે. જો કે, મંગળવારે તેમણે જાણ કરી હતી કે તેઓ મોડા આવશે, એમ સમતા નગરના સહાયક પોલીસ કમિશનર કૈલાશ બર્વેએ જણાવ્યું હતું.

 મુંબઈની રેલવે લાઈનો પર રોજનાં આઠ મોત

મુંબઈમાં ત્રણેય રેલવે લાઈનો પર સરેરાશ ૮ લોકો અકસ્માતમાં મૃત્યુ પામે છે. પરંતુ, રેલવે ટ્રેક પાર કરતી વખતે સૌથી વધુ અકસ્માતો થાય છે. રેલવે દ્વારા મળેલી માહિતી અનુસાર, જાન્યુઆરી ૨૦૧૫ થી મે ૨૦૨૫ સુધીના ૧૦ વર્ષના સમયગાળા દરમિયાન વિવિધ અકસ્માતો અને દુર્ઘટનાઓમાં કુલ ૨૬ ,૫૪૭ લોકો મૃત્યુ પામ્યા છે. જેમાંથી સૌથી વધુ મૃત્યુ, ૧૪ ,૧૭૫ લોકો, રેલવે ટ્રેક પાર કરતી વખતે થયા હતા. આ પછી ટ્રેનમાંથી પડી જવું, રેલવે થાંભલા સાથે અથડાવું, વીજ કરંટ લાગવો, આત્મહત્યા વગેરેનો સમાવેશ છે.