(પ્રતિનિધિ દ્વારા) મુંબઈ તા.૨૦ ફેબ્રુઆરી 2018, મંગળવાર આજથી મહારાષ્ટ્ર રાજ્યના બારમા ધોરણની બોર્ડની પરીક્ષા શરુ થતી હોઈ મહારાષ્ટ્ર સ્ટેટ બોર્ડ ઓફ સેકન્ડરી એન્ડ હાયર સેકન્ડરી એજ્યુકેશન (એમએસબીએસએચએસઈ) એ પરીક્ષાને આગલે દિવસે વિદ્યાર્થીઓને ફરી યાદ અપાવ્યું હતું કે વિદ્યાર્થીઓને પરીક્ષા ખંડમાં પરીક્ષા શરુ થયા બાદ પ્રવેશ આપવામાં આવશે નહીં. આજથી શરુ થતી પરીક્ષામાં સવારે ૧૧ વાગ્યે તેમજ બપોરના ભાગમાં ૩ વાગ્યે પરીક્ષા શરુ થતી હોઈ વિદ્યાર્થીઓએ સમયસર પરીક્ષાખંડમાં હાજર થવું જરુરી રહેશે. મહારાષ્ટ્ર રાજ્યમાંથી કુલ ૧૪ લાખ ૮૫ હજાર ૧૩૨ વિદ્યાર્થીઓ એચએસસીની પરીક્ષામાં જોડાઈ રહ્યા છે. તેમના માટે સંપૂર્ણ રાજ્યમાં ૨ હજાર ૮૨૨ પરીક્ષા કેન્દ્રો પ્રસ્થાપિત કરાયા છે. જેમાં દરેક વર્ગખંચડમાં માત્ર ૨૫ વિદ્યાર્થીઓને બેસાડાશે. મુંબઈ વિભાગ અંતર્ગત આવતાં મુંબઈ, થાણે, રાયગડ અને પાલઘર જિલ્લામાંથી કુલ ૩,૩૦,૦૦૦ વિદ્યાર્થીઓ પરીક્ષામાં બેસવાના છે. ૨૦૧૭માં ૫ાંચ પેપર સોશ્યલ મીડિયાને આધારે ફૂટયા બાદ આ વર્ષે એવી ઘટનાઓ ન બને તે માટે સૌ પ્રથમવાર અનેક પગલાંઓ લેવામાં આવ્યા છે. પરીક્ષા કેન્દ્રમાં આ વર્ષથી વિદ્યાર્થી કે શિક્ષકોને પણ મોબાઈલ લઈ જવા પર પ્રતિબંધ મૂકાયો છે. તો સાથોસાથે હવેથી પ્રશ્નપત્રોનું સીલ પણ વર્ગખંડમાં બે વિદ્યાર્થીઓની હાજરીમાં પરીક્ષાના સમયે જ ખોલવામાં આવશે. જેથી કરીને સ્ટાફ મેમ્બરો દ્વારા પણ પેપર લીક થઈ શકે નહીં. સાથોસાથ વિદ્યાર્થીઓ માટે સ્ટેટબોર્ડ દ્વારા સવારે ૮ થી રાત્રે ૮ દરમ્યાન હેલ્પલાઈન નંબરની પણ શરુઆત કરવામાં આવી છે. જેથી વિદ્યાર્થીઓ કોઈ મૂંઝવણમાં મૂકાય તો તેનો સંપર્ક કરી શકે છે.

