માજી મંત્રી કોકાટેને હાઈકોર્ટમાંથી આંશિક જ રાહત
દોષિત ઠેરવવા પર સ્થગિતી આપી શકાય નહીં કારણ કે પ્રથમ દ્રષ્ટિએ સંડોવણી દર્શાવતા પુરતા પુરાવા
મુંબઈ - મહારાષ્ટ્રના ભૂતપૂર્વ મંત્રી માણિકરાવ કોકાટેને આંશિક રાહત આપતા, બોમ્બે હાઈકોર્ટે શુક્રવારે છેતરપિંડી અને બનાવટના કેસમાં તેમની બે વર્ષની જેલની સજા સ્થગિત કરી અને તેમને જામીન આપ્યા હતા. જોકે, અદાલતે તેમને દોષમુક્ત કરવા ઈન્કાર કર્યો હતો.
ન્યાયાધીશ આર.એન. લઢ્ઢાએ આદેશમાં જણાવ્યું હતું ક દોષિત ઠેરવવા પર સ્થગિતી આપી શકાય નહીં કારણ કે પ્રથમ દ્રષ્ટિએ કોકાટે સામે પૂરતા પુરાવા છે. કોકાટે પર ખોટા સોગંદનામા રજૂ કરીને આથક રીતે નબળા વર્ગ માટે બનાવાયેલ સરકારી યોજનાના ફ્લેટ મેળવવાનો આરોપ મૂકવામાં આવ્યો હતો.
હાઈકોર્ટે નોંધ્યું હતું કે મેજિસ્ટ્રેટ કોર્ટે તેમને આપેલી જેલની સજા માત્ર બે વર્ષની હતી અને સેશન્સ કોર્ટ સમક્ષ તેમની અપીલની સુનાવણી અને ટ્રાયલ દરમિયાન તેઓ જામીન પર જ હતા, તેથી તેમને જામીન આપી શકાય છે.
સજા સસ્પેન્શન માટેની અરજી મંજૂર કરવામાં આવે છે. અરજદારે જામીન તરીકે એક લાખ રૃપિયા જમા કરાવવા પડશે,એમ હાઈકોર્ટે જણાવ્યું હતું.
ન્યાયાધીશ લઢ્ઢાએ કોકાટેની સજાને યથાવત રાખવાના સેશન્સ કોર્ટના આદેશ સામે તેમની પુનવચાર અરજીની સુનાવણી માટે પણ સ્વીકાર કર્યો હતો.
જોેકે, દોષમુક્ત ઠેરવવાની તેમની અરજીને ફગાવી દેતા કોર્ટે કહ્યું કે ફક્ત સજા સસ્પેન્ડ થઈ એટલા ખાતર થઈને એક ફોજદારી ગુનામાં સસ્પેન્ડ વ્યક્તિને કેબિનેટ મંત્રીપદ સંભાળવાની મંજૂરી આપવાથી જાહેર સેવાને ગંભીર અને ભરપાઈ ન થઈ શકે તેવું નુકસાન થશે. તેનાથી ે લોકશાહી સંસ્થાઓમાં જનતાનો વિશ્વાસ ઘટાડશે અને કાયદાનું પાલન કરનારાઓનું મનોબળ ઘટશે. સંસ્થાકીય શૂચિતા તથા જાહેર વિશ્વાસની તરફેણમાં લોકશાહી પ્રતિનિધિત્વ અને કાનૂની જવાબદારી વચ્ચે સંતુલન જાળવવું જોઈએ,એમ ન્યાયાધીશ લઢ્ઢાએ જણાવ્યું હતું.
કોર્ટે ઉમેર્યું હતું કે, બંધારણીય પદના ધારક તરીકે, કોકાટેએ જનતાને અવિશ્વસનીય સમર્થન સાથે પોતાની ફરજો નિભાવવાની હોય છેે. તેઓ જે પદ પર બિરાજમાન છે તે ફક્ત નામ પૂરતી નથી પરંતુ કાયદાના શાસનને જાળવી રાખવા અને નાગરિકોના સામૂહિક હિતનું રક્ષણ કરવાની ગંભીર ફરજ ધરાવે છે. વિશ્વાસુ પદ જવાબદારીના ઉચ્ચ ધોરણની માંગ કરે છે અને નૈતિક શાસન અને જાહેર સેવાની માંગ કરે છે,
ન્યાયાધીશ લઢ્ઢાએ આ કેસમાં એક સાક્ષીની જુબાનીનો ઉલ્લેખ કર્યો હતો જે કોકાટે જે ખાંડ ફેક્ટરીમાં શેરડીનો સપ્લાય કરતો હતો તેના એકાઉન્ટન્ટ હતા, અને કહ્યું કે એવું લાગે છે કે કથિત ગુના સમયે કોકાટે પૂરતી આવક ધરાવતા હતા તેવું આ જુબાની પરથી જણાય છે.
હાઈકોર્ટે નોંધ્યું હતું કે ફ્લેટ ફાળવતા પહેલા સરકારી અધિકારીઓએ તેમના દસ્તાવેજોની તપાસ કરતી વખતે બેદરકારી દાખવી હતી.
કોકાટેના વકીલ રવિ કદમે દલીલ કરી હતી કે ભૂતપૂર્વ મંત્રીને બાંદ્રાની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા જ્યાં તેમની એન્જીયોગ્રાફી કરવામાં આવી હતી અને શુક્રવારે બપોરે તેમની એસઓએસ એન્જીયોપ્લાસ્ટી થવાની હતી.
સરકારી વકીલ માનકુંવર દેશમુખે જામીન અરજીનો વિરોધ કર્યો હતો.
આ વર્ષે ફબુ્રઆરીમાં મેજિસ્ટ્રેટ દ્વારા કોકાટેને આપેલી બે વર્ષની સજા અને દોષિત ઠેરવવામાં આવેલા ચુકાદાને મંગળવારે નાસિક સેશન્સ કોર્ટે માન્ય રાખ્યો હતો, જેમાં કહેવામાં આવ્યું હતું કે કોકાટે અને તેમના ભાઈએ રાજ્ય સરકારને ગેરમાર્ગે દોરી ગરીબ વર્ગો માટેના ફલેટ પચાવી પાડયા હતા.
હાઈકોર્ટ સમક્ષ કરેલી અપીલમાં, કોકાટેએ પોતાની સજાને મનસ્વી અને ગેરકાયદેસર ગણાવી હતી.
આ કેસ ૧૯૮૯-૧૯૯૨નો છે, મૂળ કેસ અનુસાર ૩૦,૦૦૦ રૃપિયાની વાષક આવક મર્યાદા સાથે ઇડબ્લ્યુએસ માટે આવાસ યોજના જાહેર થઈ હતી. કોકાટેએ ખોટા આવકના સોગંદનામા રજૂ કરીને અપ્રમાણિકપણે રાજ્યને પ્રેરિત કરીને તેમને ફ્લેટ ફાળવ્યો હતો.
દ્રાક્ષ અને રવિ પાક માટે બેંક લોન તેમજ કોપરગાંવ સહકારી સાખર કારખાના (ખાંડ ફેક્ટરી) ના રેકોર્ડનો ઉલ્લેખ કરતા, ન્યાયાધીશે કહ્યું કે કોકાટે એક સમૃદ્ધ ખેડૂત હતા જેમની આવક પાત્રતા મર્યાદા કરતાં ઘણી વધારે હતી, અને તેઓ આર્થિક નબળા વર્ગની શ્રેણીમાં આવતા ન હતા.


