Get The App

ડો. આંબેડકરનું પ્રિન્ટિંગ પ્રેસ તોડાતાં હાઈકોર્ટને આઘાત ઃ પોલીસની ઝાટકણી

Updated: May 12th, 2026

GS TEAM

Google News
Google News
ડો. આંબેડકરનું પ્રિન્ટિંગ પ્રેસ તોડાતાં હાઈકોર્ટને આઘાત ઃ પોલીસની ઝાટકણી 1 - image

દાદરમાં  બુદ્ધ ભુષણ પ્રિન્ટિંગ પ્રેસ ૨૦૧૬માં તોડી પડાયું હતું

મધરાત બાદ તોડકામ હાથ ધરાય એ સામાન્ય બાબત છે? મુંબઈ મહાપાલિકા પાસે હાઈકોર્ટે ખુલાસો  માગ્યો

મુંબઈ -  ડો. બી. આર. આંબેડકરનું મુંબઈમાં આવેલું પ્રિન્ટિંગ પ્રેસ જે રીતે ૨૦૧૬માં તોડી પાડવામાં આવ્યું હતું તે ને લઈને હાઈકોર્ટે આઘાત વ્યક્ત કર્યો હતો અને  આ પગલાં સામે ફરિયાદ આવી હોવા છતાં પગલાં લેવામાં નિષ્ફળ ગયેલી પોલીસની ઝાટકણી કાઢી હતી.

૩૦ એપ્રિલે આપેલા આદેશમાં કોર્ટે આ મુદ્દે મુંબઈ પોલીસ કમિશનરને પોતાનું  વ્યક્તિગત સોગંદનામું દાખલ કરવાનો નિર્દેશ આપ્યો છે.મધરાત બાદ તોડકામ થયાનું જવલ્લે જોવા મળે છે એવું આદેશમાં કોર્ટે ટાંક્યું હતું. કોર્ટે મહાપાલિકા કમિશનર પાસે પણ ખુલાસો માગ્યો છે કે આવા સમયે તોડકામ કરવાનું સામાન્ય હોય છે?

ડો. આંબેડકરના પૌત્ર પ્રકાશ આંબેડકરે કરેલી અરજી સહિતની ઢગલાબંધ અરજીઓ પર આદેશ અપાયો હતો. દાદરમાં આવેલું ઔતિહાસિક બુદ્ધ ભુષણ પ્રિન્ટિંગ પ્રેસ જૂન ૨૦૧૬માં કથિત ગેરકાયદે રીતે તોડી પાડવાને લઈને ચિંતા વ્યક્ત કરાઈ હતી.

ટ્રસ્ટીઓમાં અમુક વિવાદ હતો અને ખોટા સ્ટ્રક્ટર ઓડિટ રિપોર્ટને નામે અરજીમાં આરોપી જણાવાયેલા છ જણે મહાપાલિકાને નોટિસ મોકલવા પ્રેરીત કરી હતી અને પ્રેસ જર્જરિત હોવાનું જણાવ્યું હોવાનો અરજીમાં દાવો કરાયો હતો.

ઘટનાના દિવસે આરોપી ટ્રસ્ટીઓ ૪૦૦થી વધુના ટોળાં સાથે આવ્યા અને તોડકામ કરાવ્યું હતું.

પ્રકાશ આંબેડકરે ભોઈવાડા પોલીસને તોડકામ અટકાવવાની વિનંતી કરી છતાં પોલીસે પગલાં લેવાનો ઈનકાર કર્યો હતો, એમ અરજીમાં જણાવાયું હતું.