આદિત્ય ધરની અરજી પર વચગાળાનો આદેશ અપાયો
સંતોષ કુમારે પોતાની 'ડી સાહેબ' ફિલ્મની સ્ક્રિપ્ટ આદિત્યએ ચોરી હોવાનું આળ મૂક્યું હતું
મુંબઈ - બોમ્બે હાઈકોર્ટે બુધવારે ફિલ્મ નિર્માતા સંતોષ કુમારને દિગ્દર્શક આદિત્ય ધરે બ્લોકબસ્ટર ફિલ્મ 'ધુરંધર'ની સ્ક્રિપ્ટ તેમની પાસેથી ચોરી લીધી હોવાના તેમના આરોપનો પુનરોચ્ચાર નહીં કરવા વચગાળાનો આદેશ આપ્યો છે.
ધરે હાઈકોર્ટમાં અરજી કરી છે અને દાવો કર્યો છે કે કુમારના વારંવારના આરોપો બદનક્ષીભર્યા છે અને તેમની પ્રતિષ્ઠાને નુકસાન પહોંચાડે છે.
ન્યાયાધીશ આરિફ ડોક્ટરે વચગાળાનો આદેશ આપતાં નોંધ્યું હતું કે ધરને આવી રાહત મેળવવા માટે પ્રથમ દૃષ્ટિએ કેસ બને છે.કોર્ટે કહ્યું કે આગામી તારીખ સુધી, પ્રતિવાદી (કુમાર)ને (ધર દ્વારા દાખલ કરાયેલ) દાવામાં દર્શાવેલ શબ્દો અને ટિપ્પણીઓ અને સમાન પ્રકૃતિના અન્ય તમામ આરોપોનું પુનરાવર્તન કરવાથી પ્રતિબંધિત કરવામાં આવે છે.બેન્ચે આ મામલાની વધુ સુનાવણી ૧૬ એપ્રિલના રોજ મુલતવી રાખી છે.
દાવા મુજબ કુમારે ૨૦૨૫ માં આવેલી ફિલ્મ 'ધુરંધર'ની સિક્વલ ફિલ્મ ધુરંધર- રિવેન્જ રિલીઝ થયા પછી આ આરોપો લગાવ્યા હતા. જેમાં ધર પર 'ડી સાહેબ' નામની તેમની રજિસ્ટર્ડ સ્ક્રિપ્ટની નકલ કરવાનો આરોપ મૂકવામાં આવ્યો હતો.
શરૃઆતમાં ધરે કુમારને કાનૂની નોટિસ ફટકારી હતી જેમાં તેમણે કોઈપણ પ્રકારની ચોરીનો ઇનકાર કર્યો હતો અને તેમને વધુ આરોપો કરવાથી દૂર રહેવા કહ્યું હતું, પરંતુ જ્યારે બાદમાં જવાબ આપવામાં નિષ્ફળ ગયા, ત્યારે ધરે હાઇકોર્ટમાં અરજી કરી હતી.


