Get The App

અનિલ અંબાણીની મુંબઈ મેટ્રોને 1169 કરોડ ચૂકવવા એમએમઆરીડીએને હાઈકોર્ટનો આદેશ

Updated: Jun 11th, 2025

GS TEAM


Google News
Google News
અનિલ અંબાણીની મુંબઈ મેટ્રોને 1169 કરોડ ચૂકવવા એમએમઆરીડીએને હાઈકોર્ટનો આદેશ 1 - image


ટ્રિબ્યુનલે 2023માં આપેલા આદેશને બહાલ રખાયો

વર્સોવા-ઘાટકોપર વચ્ચે દોડતી  મેટ્રો વનની સંચાલક કંપનીન પાર્ટનરો એમએમઆરડીએ તથા રિલાયન્સ ઈન્ફ્રા વચ્ચે પ્રોજેક્ટ કોસ્ટ બાબતે તકરાર થઈ હતી

મુંબઈ: મુંબઈના ઘાટકોપર  અને વર્સોવા વિસ્તારો વચ્ચે દોડતી શહેરની પહેલી  મેટ્રો સેવા  મેટ્રો વનનું સંચાલન કરતી મુંબઈ મેટ્રો વન પ્રાઇવેટ લિમિટેડ ( એમએમઓપીએલ)ને રુપિયા ૧૧૬૯  કરોડ ચૂકવવાનો આદેશ આ કંપનીમાં લઘુમતી હિસ્સો ધરાવતી સરકારી એજન્સી મુંબઈ મેટ્રોપોલિટન રિજન ડેવલપમેન્ટ ઓથોરિટી( એમએમઆરડીએ)ને બોમ્બે  હાઈકોર્ટ દ્વારા આર્બિટ્રેશનના એક કેસમાં અપાયો છે. પબ્લિક પ્રાઈવેટ પાર્ટનરશિપથી બનેલી આ મેટ્રો કંપંનીમાં બહુમતી હિસ્સો અનિલ અંબાણીની રિલાયન્સ ઈન્ફ્રાસ્ટ્રકચરનો છે. 

હાઈકોર્ટે આ રકમ ૧૫ જુલાઈ ૨૦૨૫ પહેલાં કોર્ટ રજિસ્ટ્રીમાં જમા કરવાનું એમએમઆરડીએને જણાવ્યું છે.  મેટ્રો વને આ રકમ તેમનું દેવું ઘટાડવામાં વપરાશે એમ જણાવ્યું હતું.

આ મેટ્રો લાઈન બની ત્યારથી જ તેના બે ભાગીદારો રિલાયન્સ ઈન્ફ્રા તથા એમએમઆરડીએ વચ્ચે  પ્રોજેક્ટ કોસ્ટની  ગણતરી બાબતે તકરાર શરુ થઈ હતી. શરુઆતમાં પ્રોજેક્ટ કોસ્ટ ૨૩૫૬ કરોડ આંકવામાં આવી હતી. બાદાં પ્રોજેક્ટ કોસ્ટ વધીને ૪૩૨૧ કરોડ રુપિયા થઈ ગઈ હતી. એમએમઆરડીએએ આ પ્રોજેક્ટ કોસ્ટમાં વધારા સાથે અસંમતિ દાખવી હતી. તેના કારણે બંને ભાગીદારો વચ્ચ વિવાદ થયો હતો. આ તકરારના ઉકેલ માટે બંને કંપનીઓ લવાદમાં ગઈ હતી.ગત ઓગસ્ટ  ૨૦૨૩માં આર્બિટ્રેશન ટ્રિબ્યૂનલે મેટ્રો વનને ૯૯૨ કરોડ રુપિયા ચૂકવી આપવા  એમએમઆરડીએને જણાવ્યું હતું. જોકે,  એમએમઆરડીએએ ટ્રિબ્યૂનલના ચુકાદાને હાઈકોર્ટમાં પડકાર્યો હતો. પરંતુ હાઈકોર્ટે ટ્રિબ્યૂનલના ચુકાદાને બહાલ રાખ્યો છે.

ઉલ્લેખનીય છે કે મુંબઈ મેટ્રોમાં રિલાયન્સ ઈન્ફ્રાનો ૭૪ ટકા હિસ્સો છે. એમએમઆરડીએએ અગાઉ તેનો આ હિસ્સો ખરીદી લેવાની દરખાસ્ત મૂકી હતી. પરંતુ, મહારાષ્ટ્ર સરકારે આ માટે ભંડોળ ફાળવવાનો ઈનકાર કરી દેતાં આ દરખાસ્ત પડી ભાંગી હતી. 

Tags :