Mumbai

6 ફૂટ સુધીની પ્રતિમાઓનું વિસર્જન કૃત્રિમ તળાવમાં જ કરવા હાઈકોર્ટનો આદેશ

By GS TEAM
25 Jul 20251 min read
6 ફૂટ સુધીની  પ્રતિમાઓનું વિસર્જન કૃત્રિમ તળાવમાં જ કરવા હાઈકોર્ટનો આદેશ

ગણેશોત્સવ ઉપરાંત આગામી માર્ચ સુધીમાં તમામ તહેવારોમાં લાગુ રહેશે

તમામ સ્થાનિક સંસ્થાઓને આ નીતિના અમલની તકેદારી લેવા હાઈકોર્ટનો આદેશઃ પીઓપી  રિસાઇકલિંગ માટે કમિટી રચવા પણ સૂચન

મુંબઈઆગામી ૨૭ ઓગસ્ટથી શરૃ થઈ રહેલા ૧૦ દિવસના ગણેશોત્સવ દરમિયાન  છ ફૂટ સુધીની ઊંચાઈ  ધરાવતી તમામ પ્રતિમાઓને કૃત્રિમ તળાવમાં વિસર્જીત કરવાનો બોમ્બે હાઈકોર્ટે આદેશ આપ્યો છે.

આ આદેશ પ્લાસ્ટર ઓફ પેરિસ (પીઓપી)થી બનાવેલી પ્રતિમા સહિતની દેવી દેવતાઓની પ્રતિમાઓના વિસર્જન કરાતા હોય એવા તમામ તહેવારો માટે આવતા વર્ષે માર્ચ સુધી અમલમાં રહેશે.

પ્રતિમાના વિસર્જનની અસર પર્યાવરણ પર ઓછામાં ઓછી પડે એની તકેદારી કોર્ટે લેવાની છે. આથી છ ફૂટ સુધીની  પ્રતિમાઓનું ફરજીયાત કૃત્રિમ તળાવમાં જ વિસર્જન કરવું જોઈએ, એમ મુખ્ય ન્યા. આલોક આરાધે અને ન્યા. સંદીપ મારણેની બેન્ચે જણાવ્યું હતું.

આ નીતિને ખંત પૂર્વક અમલમાં મૂકવાની તકેદારી લેવા હાઈકોર્ટે રાજ્ય સરકારને અને તમામ સ્થાનિક સંસ્થાઓને નિર્દેશમાં જણાવ્યું છે.

પ્રતિમા બનાવવા વપરાયેલા પીઓપીનું રિસાઈકલિંગ કરવાના ઉપાય સૂચવવા નિષ્ણાત સમિતિ રચવા પણ સરકારને જણાવાયું છે. કમિટીએ વૈજ્ઞાાનિક ઉપાય પણ તપાસવાના રહેશે જેથી પ્રતિમાઓ પર્યાવરણ સાનુકૂળ રીતે પીગાળી શકાય.

કેન્દ્રીય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડે પીઓપી પ્રતિમાઓ સંબંધી આપેલી સુધારિત નિયમાવલીનો અમલ કરવાની દાદ માગતી ઢગલાબંધ અરજીઓની સુનાવણીમાં કોર્ટે ઉક્ત ચુકાદો આપ્યો છે.