આવા કેસમાં તો પરિવારને કોર્ટ સુધી ધક્કા ન ખવડાવો
લોકલમાંથી પટકાયો ત્યારે ટિકિટ કે પાસ ન હોવાનું જણાવી વળતર નકારતાં ટ્રિબ્યૂનલના આદેશને હાઈકોર્ટે ફગાવ્યો
મુંબઈ- સોળ વર્ષ પૂર્વે એટલે કે ૨૦૧૦માં વિરાર પાસે ગિર્દીને લીધે લોકલ ટ્રેનમાં પડીને મૃત્યુ પામેલા રેલવેના જ કર્મચારીના પરિવારને વળતર નકારવાની રેલવે પ્રશાસનની ભૂમિકા બાબતે હાઈકોર્ટે આશ્ચર્ય વ્યક્ત કર્યું હતું. છેવટે આવા કેસમાં તો ભારતીય રેલવેએ પોતાના જ મૃત કર્મચરીના પરિવારને વળતર માટે કોર્ટના દરવાજે આવવાની ફરજ પાડવી જોઈએ નહીં, એવી ટીકા કરી રેલવે કર્મચારીના પરિવારને વળતર આપવાનો આદેશ કર્યો હતો.
આ ઘટના કાયદા અનુસાર અનુચિત ઘટનાની વ્યાખ્યામાં આવતી હોવાનું પણ કોર્ટે નોંધીને અરજદારને ભરપાઈની રકમ આપવાનો આદેશ રેલવે પ્રશાસનને આપતી વખતે નોંધ્યું હતું.રેલવે ક્લેઈમ ટ્રિબ્યુનલે દાવો નકારતા આદેશને પડકારવામાં આવ્યો હતો. અપીલ કોર્ટે મંજૂર કરીને ઉક્ત આદેશ આપ્યો હતો. ગિર્દીને લીધે લોકલમાંથી પડીને અકસ્માત થયો હોવાથી આવા કેસમાં કર્મચારીના પરિવારની ભરપાઈની માગણી માટે કોર્ટમાં આવવું પડે નહીં એવી ટકોર કોર્ટે કરી હતી.
મૃત કર્મચારી પાસે ટિકિટ કે માસિક પાસ નહોતો અ ેકારણ પણ વળતર નો દાવો ફગાવવા માટે કોર્ટે ગ્રાહ્ય ધર્યો ન હતો. મૃતક રેલવે કર્મચારી હોવાતી મફત પ્રવાસનો અધિકાર તેેને હતો એમાં કોઈ શંકા નથી. આથી તેની પાસે ટિકિટ કે પાસ નહોવાથી તે પ્રવાસી નહોતો એવો અર્થ નીકળી શકે નહીં, એમ કોર્ટે ટ્રિબ્યુનલનો આદેશ રદ કરતી વખતે જણાવ્યું હતું.
અરજદારે વળતર માટે રેલવેને નવી અરજી કરવી. ત્યાર બાદ આઠ સપ્તાહમાં અકસ્માતની તારીખથી છ ટકા વ્યાજ સાથે ચાર લાખ વળતર અરજદારને આપવાનો આદેશ આપ્યો છે, આ રકમ આઠ લાખ સુધી પહોંચશે.
મૃતક રેલવેના વ્યાવનસાયિક વિભાગમાં કાર્યરત હતો અને એલ્ફિન્સ્ટન રોડ કાર્યાલાયમાં તહેનાત હતો. ઘટનાના દિવસે ૧૧ સપ્ટેમ્બર ૨૦૧૦ના રોજ બીજી પાળી માટે વિરારથી પ્રવાસ કરતો હતો. કામ પતાવીને પરોઢિયે ત્રણ વાગ્યે વિરાર જતી લોકલ ટ્રેનમાં ચડયો હતો. વિરાર સ્ટેશન પાસે આવતાં ડબ્બાની ગિર્દીને લીધે પડી ગયો હતો અને ગંભીર ઈજા પામ્યો હતો.


