અગાઉ ૧૯૯૫માં બે ગુજરાતી નગરસેવક ચૂંટાયા હતા
મૂળ સૌરાષ્ટ્રના સોમનાથ જિલ્લાના જતિન પ્રજાપતિનો વોર્ડ નંબર નવમાંથી ૬૩૫૧ મતોની સરસાઈથી વિજય
મુંબઈ - કલ્યાણ-ડોંબિવલીમાં મોટી સંખ્યામાં સંખ્યામાં ગુજરાતી, જૈન સમાજના લોકો રહે છે પરંતુ, લાંબા સમયથી મહાપાલિકામાં ગુજરાતીઓનું કોઈ પ્રતિનિધિત્વ ન હતું. આખરે ૩૦ વર્ષ બાદ અહીં એક ગુજરાતી નગરસેવક ચૂંટાયા છે.
મુળ સૌરાષ્ટ્રના સોમનાથ જિલ્લાના જાલના વડોદરા ગામના અને પ્રજાપતિ કુંભાર સમાજના ૪૮ વર્ષના જતિન જગજીવન પ્રજાપતિને ભાજપ તરફથી કલ્યાણ ડોંબિવલી મહાનગરપાલિકાની ચુંટણીમાં ઉમેદવારી મળી હતી. આ વખતે કલ્યાણના વાર્ડ ક્રમાંક - નવ (અ) માંથી ઉમેદવારી આપવામાં આવી હતી. એ પ્રમાણે તેઓને કુલ ૧૦૩૮૭ મતો મળ્યા હતા. એમના પ્રતિસ્પર્ધી શિવસેના (ઉબાઠા) ના ઉમેદવાર શુભમ બાંગરને ૪૦૩૬ મતો મળ્યા હતા. આમ જતિન પ્રજાપતિને ૬૩૫૧ મતોની જંગી સરસાઈથી વિજયી થયા છે. ે જતિન પ્રજાપતિ ૨૦૧૫ માં કલ્યાણ થી અપક્ષ ઉમેદવાર તરીકે પણ ચુંટણી લડયા હતા અને ફક્ત સાત મતથી હાર્યા હતા.
કલ્યાણ-ડોંબિવલી મહાનગરપાલિકાની રચના થયા બાદ પહેલી ચુંટણી ૧૯૯૫ માં યોજાઈ હતી. એ વખતે કલ્યાણમાંથી કલાવતીબહેન શાહ ચુંટાઈ આવ્યા હતા. તેમ જ ડોંબિવલીના શિવમાર્કેટ વાર્ડ માંથી સુરેશ બચુભાઈ રવાણીને ભાજપ તરફથી ઉમેદવારી મળી હતી અને તેઓ વિજયી બન્યા હતા. હવે ૩૦ વર્ષ પછી જતિન પ્રજાપતિ મહાપાલિકામાં ચૂંટાયા છે.


