ભરતી, બઢતીઓની સામૂહિક તપાસ વખતે પોલ પકડાઈ
મુંબઇ - દક્ષિણ મુંબઇના આઝાદ મેદાન પોલીસે ૧૯૯૭માં બૃહન્મુંબઇ મ્યુનિસિપલ કોર્પોરેશન (બીએમસી)માં અનુકંપા ધોરણ હેઠળ નોકરી મેળવવા માટે બનાવટી દસ્તાવેજો રજૂ કરવાના આરોપસર વિનય જાધવ નામની એક વ્યક્તિ સામે ગુનો નોંધ્યો છે. ૨૯ વર્ષ પછી ભાંડો ફૂટયા બાદ ગત જાન્યુઆરીથી તેની સામે તપાસ શરુ કરાઈ હતી.
અનુકંપા ધોરણે મોટાભાઇની નિમણૂંકના બે વર્ષ બાદ બીજા ભાઈએ પણ એ જ ધોરણે નોકરી મેળવી લીધી
એફઆઇઆર મુજબ જાધવના પિતા મધુકર જાધવનુ ૧૯૮૬માં અવસાન થયું હતું. જાધવના ભાઇ હર્ષરાજ જાધવ વર્ષ ૧૯૮૬માં અનુકંપા (કરુણા) નીતિ હેઠળ બીએમસીમાં ક્લાર્કની નોકરી મેળવી ચૂક્યો હતો. નિયમો મુજબ માતાપિતાના મૃત્યુ પછી કરુણાના આધારે પરિવારના ફક્ત એક જ સભ્યની નિમણૂંક કરી શકાય છે. જો કે ઓગસ્ટ ૧૯૯૫માં વિનય જાધવે કથિત આ જ નીતિ હેઠળ બીએમસીને અરજી સબમિટ કરી હ તી. પોલીસે જણાવ્યું હતું તે તેણે બનાવટી દસ્તાવેજો રદૂ કર્યા હતા અને ઓક્ટોબર ૧૯૯૭માં છેતરપિંડી કરીને પાલિકામાં નોકરી મેળવી હતી.
એફઆઇઆર મુજબ જાધવે બીએમસીના લાયસન્સ વિભાગ (સી વોર્ડ)માં લાયસન્સ ઇન્સ્પેક્ટર તરીકે કામ કર્યું હતું અને ૨૯ વર્ષ સુધી પાલિકા સાથે છેતરપિંડી કરી હતી.
બીએમસીના લાયસન્સિંગ વિભાગમાં વહીવટી અધિકારી તરીકે કામ કરતા રાજશ્રી પાટીલે કર્મચારીઓની ભરતી, બઢતી અને ટ્રાન્સફરમાં કથિત અનિયમિતતાઓની તપાસ શરૃ કરી ત્યારે આ મામલો પ્રકાશમાં આવ્યો હતો. તપાસમાં બહાર આવ્યું હતું કે તે સમયે અધિકારીઓ દસ્તાવેજોની યોગ્ય રીતે ચકાસણી કરવામાં નિષ્ફળ રહ્યા હતા. જેના કારણે જાધવને અનુચિત લાભ લેવાની તક મળી હતી.
બીએમસી વહીવટી તંત્રએ એફઆઇઆરમાં જણાવ્યું હતું કે જાધવે વર્ષોથી પગાર અને અન્ય લાભો મેળવ્યા હતા. જેના કારણે બીએમસીને લાખો રૃપિયાનું નાણાકીય નુકસાન થયું હતું.આઝાદ મેદાન પોલીસે ૨૮ એપ્રિલના રોજ જાધવ વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતાની કલમ ૩૧૮ (૪) (છેતરપિંડી) અને અન્ય સંબંધિત જોગવાઇઓ હેઠળ એફઆઇઆર નોંધી હતી.


