અઢી વર્ષ પછી આરોગ્ય વિભાગ દ્વારા યુ-ટર્ન
ગરીબ દર્દીઓને પણ મફત સારવાર નહીં મળે કેસ પેપરના પાંચ રૃપિયાથી લઈને ટ્રાન્સપ્લાન્ટ સર્જરી માટે રૃ. ૪૦,૦૦૦ સુધીનો ચાર્જ ચૂકવવો પડશ
મુંબઈ - રાજ્યના આરોગ્ય વિભાગે હવે અઢી વર્ષ પહેલાં રજૂ કરાયેલા સંપૂર્ણ મફત સારવારના નિર્ણય પર યુ-ટર્ન લીધો છે. રાજ્યની સરકારી હોસ્પિટલોમાં ફરીથી ફી વસૂલવાનો નિર્ણય લીધો છે.
નવા દર પ્રાથમિક આરોગ્ય કેન્દ્રોથી લઈને જિલ્લા અને મહિલા હોસ્પિટલો સુધી લાગુ થશે, અને બહારના દર્દીઓ(ઓપીડી) વિભાગમાં કેસ પેપર થી ટ્રાન્સપ્લાન્ટ સુધી એટલે કે પાંચ રૃપિયાથી લઈને ટ્રાન્સપ્લાન્ટ સર્જરી માટે ૪૦,૦૦૦ રૃપિયા સુધીનો ચાર્જ રહેશે.
તત્કાલીન આરોગ્ય પ્રધાન તાનાજી સાવંતે એક સાહસિક નિર્ણય લીધો હતો અને રાજ્યની તમામ આરોગ્ય વિભાગની હોસ્પિટલોમાં મફત સારવાર શરૃ કરી હતી. તેનો અમલ ૧૫ ઓગસ્ટ, ૨૦૨૩ના રોજ શરૃ થયો હતો. ત્યારથી, તમામ સ્થળોએ મફત સારવાર આપવામાં આવી રહી છે. કેસ પેપર લઈને રક્ત પરીક્ષણો, અન્ય તમામ પરીક્ષણો અને બધી સારવાર મફત છે. જો કે, છેલ્લા કેટલાક દિવસોમાં, આરોગ્ય વિભાગને ખ્યાલ આવ્યો છે કે આ વ્યવહારુ નથી અને તાજેતરમાં જારી કરાયેલા સરકારી નિર્ણય મુજબ, હવે સારવાર માટે નવા દરો લાગુ કરવામાં આવ્યા છે.
આ સંદર્ભમાં, આરોગ્ય અધિકાર કાર્યકર્તા શરદ શેટ્ટીએ જણાવ્યું હતું કે, સરકારી નિર્ણયમાં ફી કાગળ પર ઓછી લાગે છે, પરંતુ સરકારી હોસ્પિટલોમાં આવતા મોટાભાગના દર્દીઓ સમાજના સૌથી ગરીબ વર્ગના હોય છે. તેમના માટે મફત સારવાર હોવી જોઈએ. સાંસદો, ધારાસભ્યો વગેરે માટે મફત સારવારનો ઉલ્લેખ છે. જેઓ વાસ્તવમાં સરકારી હોસ્પિટલોમાં સારવાર લેતા નથી. સરકારે આ નિર્ણય પર પુનવચાર કરવો જોઈએ.
સરકાર દ્વારા સમયાંતરે જારી કરાયેલા આદેશો અનુસાર, કેટલીક શ્રેણીઓ માટે મફત સારવારનો લાભ ચાલુ રહેશે. આમાં સરકારી કર્મચારીઓ અને તેમના પરિવારો, સરકારી હોસ્પિટલોમાં તબીબી અધિકારીઓ, નર્સો, વ્યવસાયિક અને ફિઝીયોથેરાપીના વિદ્યાર્થીઓ, ન્યાયિક કસ્ટડીમાં રહેલા વ્યક્તિઓ, સ્વતંત્રતા સેનાનીઓ અને તેમના પરિવારો, તબીબી-ફોરેન્સિક કેસોમાં દર્દીઓ, ન્યાયિક તપાસ હેઠળના કેદીઓ, પોલીસ દ્વારા રિફર કરાયેલા કેસો, રક્તપિત્ત બોર્ડ દ્વારા રિફર કરાયેલા દર્દીઓ, આશ્રમ શાળાઓ અને મહિલા સુધારણા ગૃહો દ્વારા રિફર કરાયેલા દર્દીઓ, શહેરી વિસ્તારોના નિરાધાર બાળકો, ધારાસભ્યો, સાંસદો, મંત્રીઓ, ન્યાયાધીશોનો સમાવેશ થાય છે.


