મહારાષ્ટ્ર બોર્ડનો મહત્ત્વનો નિર્ણય
બોર્ડના ફોર્મ પહેલાંની જેમ હવે પરીક્ષાના આગલા દિવસ સુધી નહીં સ્વીકારાય
મુંબઈ - સામાન્યપણે ઘણીવાર મહારાષ્ટ્ર બોર્ડની પરીક્ષાના ફોર્મ પરીક્ષાના આગલા દિવસ સુધી સ્વીકારવામાં આવતાં હોય છે. પરંતુ આ વર્ષે પરીક્ષા ફોર્મ પરીક્ષાની તારીખથી ૨૦ દિવસ પહેલાં જ સ્વીકારવાના બંધ કરવાનો નિર્ણય મહારાષ્ટ્ર બોર્ડે લીધો છે. પરીક્ષા નજીક આવી છે, ત્યારે અચાનક લેવાયેલો આ નિર્ણય શિક્ષણ જગતમાં ફરી ચર્ચાનો વિષય બન્યો છે.
સ્ટેટ બોર્ડ દ્વારા ફેબુ્રઆરી-માર્ચમાં લેવાતી ધો.૧૦-૧૨ની પરીક્ષાના ફોર્મ ભરવાની પ્રક્રિયા ચાલી રહી છે. બોર્ડે અતિવિલંબ, વિશેષ અતિવિલંબ તથા અતિવિશેષ અતિવિલંબ ફી સાથે ફોર્મ ભરવાની તારીખ જાહેર કરી છે. જેમાં હવે પરીક્ષાના ૨૦ દિવસ પહેલાં ફોર્મ સ્વીકારવાના બંધ કરી દેવાશે. ધો.૧૨ માટે ૨૧ જાન્યુઆરી તો ધો.૧૦ માટે ૩૦ જાન્યુઆરી સુધી ફોર્મ સ્વીકારવામાં આવશે. ત્યારબાદ ફોર્મ લેવાશે નહીં.
આ સંદર્ભે બોર્ડના સૂત્રોનું કહેવું છે કે, આ પહેલાં પરીક્ષાના આગલા દિવસ સુધી ફોર્મ સ્વીકારવામાં આવતાં અને તેને કારણે કયા વિદ્યાર્થીને છેલ્લી ઘડીએ કયું સેન્ટર આપવું તેની તકલીફ થતી. આથી જો નિશ્ચિત તારીખ સુધીમાં જ ફોર્મ લેવાય તો પરીક્ષાના આયોજનમાં સરળતા રહે.


