ફલાઈટમાં બેગ ગૂમ થતાં સવા લાખનું વળતર ચૂકવવા ફલાયનાસ કંપનીને આદેશ
ઇસ્તંબુલથી મુંબઈ આવેલા પ્રવાસીની પાંચ બેગમાંથી એક બેગ ખોવાઈ ગઈ
એરલાઈને જાણી જોઈને બેદરકારી દાખવી, બેગ શોધવા પ્રયાસ જ ન કર્યા હોવાની ગ્રાહક પંચની નોંધ
મુંબઈ - એક પ્રવાસીની બેગ ગુમ થઈ જવાના કિસ્સામાં રૃ. ૧.૨૫ લાખ અને વ્યાજ ચૂકવવા એક વિદેશી એરલાઇનને ગ્રાહક પંચે આદેશ આપ્યો છે. માનસિક યાતના પેટે ગ્રાહકને વધુ રૃ. ૧૦,૦૦૦ ચૂકવવાનો વિમાની કંપનીને નિર્દેશ આપવામાં આવ્યો છે. સાઉદી અરેબિયાસ્થિત બજેટ એરલાઇન ફ્લાયનાસનો કોઈ પ્રતિનિધિ સુનાવણીમાં હાજર રહ્યો ન હોવાથી ઓર્ડર એક્સ-પાર્ટે (એક તરફી) આપવામાં આવ્યો હતો.
ગત જાન્યુઆરીમાં ફરિયાદી ઇસ્તંબુલથી મુંબઈ આવી રહ્યો હતો. ઇસ્તંબુલમાં પ્રવાસીએ પોતાની પાંચ બેગ ચેકઇન કરાવી હતી. પાંચમાંથી ચાર બેગ પર 'બેગેજ ટેગ' (પ્રવાસીનું નામ, ફ્લાઇટ નંબર, ગંતવ્ય સ્થાન જણાવતો બાર કોડ ધરાવતો દસ્તાવેજ) લગાવ્યો હતો, પણ એક બેગ પર નહોતો. મુંબઈમાં પ્રવાસીને 'બેગેજ ટેગ' ધરાવતી ચાર બેગ મળી હતી, પણ પાંચમી બેગ મળી નહોતી. પ્રવાસીએ એરલાઇનને ફરિયાદ કરી હતી, પણ બેગ પ્રાપ્ત થઈ નહોતી. એરલાઇન કંપનીનો પ્રતિભાવ સંતોષકારક ન હોવાથી ફરિયાદીએ ગ્રાહક પંચમાં અરજી કરી હતી.
કન્ઝ્યુમર ડિસ્પુટ્સ રિડેસલ કમિશને કહ્યું કે 'તમામ હકીકતોનો અભ્યાસ કરીને અમે કહીએ છે કે ફ્લાયનાસ એરલાઇનના સ્ટાફ અને અધિકારીઓની દુર્ભાવનાપૂર્ણ બેદરકારી છતી થઈ રહી છે. પ્રતિવાદી (એરલાઇન કંપની)ની વર્તણૂક સંતોષકારક નહોતી. સીસીટીવી ફૂટેજનો અભ્યાસ કરીને હકીકતો રેકોર્ડ પર લાવવાની પ્રતિવાદીની ફરજ હતી. ખોવાયેલી બેગ શોધવા પ્રતિવાદી દ્વારા તર્કસંગત પ્રયત્નો જાણીબૂઝીને કરાયા નહોતા.'
ગ્રાહકપંચે ફરિયાદીને વ્યાજ સહિત રૃ. ૧.૨૫ લાખ જ ચૂકવવાનો વિમાની કંપનીને આદેશ કરાયો હતો.