ફ્રીઝમાં શોર્ટ સર્કીટથી ધડાકો થયાની શંકા
શરૃઆતમાં નાની આગ ઝડપથી પ્રસરી જતા બહાર આવી ન શક્યા
મુંબઇ - મુંબઇમાં આગની વધુ એક જીવલેણ ઘટના બની છે. ગોરેગાવમાં આજે વહેલી સવારે ઘરમાં આગ લાગતા પિતા, પુત્ર, પુત્રી ઉંઘમાં જ કાળનો કોળીયો બની ગયા હતા. જ્યારે મૃતક સખસની પત્ની અને એક પુત્રી ઘરમાં ન હોવાથી બચી ગયા હોવાનું કહેવાય છે. ફ્રીઝમાં શોર્ટસર્કીટ થતા આગ લાગી હોવાની શંકા છે. પોલીસે મામલાની નોંધ લઇ વધુ તપાસ આદરી છે. ગોરેગામ (પશ્ચિમ) સ્થિત ભગતસિંહ નગરમાં આ ઘટના બની હતી.
૪૮ વર્ષીય સંજોગ પાવઝકર તેના પરિવાર સાથે ગ્રાઉન્ડ પ્લસ એક માળના ઘરમાં રહે છે. ઘરના માળીયા પર સંજોગ પાવસ્કર (ઉ.વ.૪૮) તેની પુત્રી હર્ષદા (ઉ.વ.૧૯) પુત્ર કુશલ (ઉ.વ.૧૨) સૂતા હતા. સંજોગની પત્ની અને અન્ય એક પુત્રી ઘરમાં નહોતી. ઘરના ગ્રાઉન્ડ ફલોર પર ઇલેકટ્રિક વાયરિંગ, ઘરગથ્થુ સામાનમાં ૩.૦૬ કલાકે આગ લાગી હતી. આગ પ્રસરી જતા માળીયા પર સૂતેલા ત્રણ જણાને બહાર આવવાની તક મળી નહોતી.
આગની જાણ થતા વિસ્તારના નાગરિકો તાત્કાલિક બચાવ કામગીરી માટે દોડી ગયા હતા.
ફાયરબ્રિગેડ ઘટનાસ્થળે પહોંચે તે પહેલા જ સ્થાનિક રહેવાસીઓએ પાણીની ડોલની મદદથી આગ પર કાબુ મેળળવાનો પ્રયાસ કર્યો હતો. અગ્નિ શામક દળના જવાનોએ વહેલી સવાર ૩.૧૬ કલાકે આગ બૂઝાવી દીધી હતી.
ઘરમાંથી સંજોગ, હર્ષદા, કુશલને બહાર કાઢવામાં આવ્યા હતા. તેમને હોસ્પિટલમાં લઇ જતા મૃત ઘોષિત કરાયા હતા.
એક જ પરિવારના ત્રણ સભ્યાના મોતથી વિસ્તારમાં શોકનું વાતાવરણ છે. ફ્રીઝ શોર્ટસર્કીટથી આગ લાગી હોવાની ચર્ચા થઇ રહી છે. આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ સ્પષ્ટ નથી. આ ઘટનાની તપાસ ચાલી રહી છે, એમ બાંગુરનગર પોલીસ સ્ટેશનના સિનિયર પોલીસ ઇન્સ્પેકટર રવિન્દ્ર આવ્હાડે 'ગુજરાત સમાચાર'ને જણાવ્યું હતું.


