Mumbai

પતિ પાસેથી બેન્ક ખાતામાં મળેલા 2.64 કરોડનો ખુલાસો કરવામાં નિષ્ફળ

By GS TEAM
10 Aug 20252 mins read
પતિ પાસેથી બેન્ક ખાતામાં મળેલા  2.64 કરોડનો ખુલાસો કરવામાં નિષ્ફળ

આઇપીએસ અધિકારી રશ્મિ કરંદીકર સામે કાર્યવાહી

આર્થિક ગુના શાખાએ ડીજીપી ઓફિસને પત્ર લખીને વાર્ષિક આવકની વિગતો માંગી

મુંબઇ -  આઇપીએસ અધિકારી રશ્મિ કરંદીકરે તેમના અલગ થયેલા પતિ પુરુષોત્તમ ચવ્હાણ પાસેથી તેમના બેન્ક ખાતામાં  રૃા.૨.૬૪ કરોડ મળ્યા હોવાનો શરૃઆતમાં ખુલાસો કર્યો નહોતો. તેમનો પતિ આવકવેરા રિફંડ અને ચેતરપિંડીના કેસમાં આરોપી છે, એમ આર્થિક ગુના શાખાના અધિકારીએ શનિવારે જણાવ્યું હતું.

મુંબઇ પોલીસના આર્થિક ગુના શાખાની તપાસમાં  ચવ્હાણ અને કરંદીકરના બેન્ક ખાતાઓ સંબંધિત શંકાસ્પદ વ્યવહારો બહાર આવ્યા હતા.

આ મામલાની વધુ તપાસ કરતા તેમણે ડાયરેક્ટ જનરલ ઓફ પોલીસ (ડીજીપી) ઓફિસને પત્ર લખીને વર્ષ ૨૦૧૭-૨૦૧૮ માટે કરંદીકરે રજૂ કરેલી  વાર્ષિક આવકની વિગતો માંગી છે.

આર્થિક ગુના શાખાએ કરંદીકરે પોતાની સંપતિ જાહેર કરતી વખતે રજૂ કરેલા દસ્તાવેજોનું વિશ્લેષણ કર્યું અને શોધી કાઢ્યું કે ચવ્હાણ દ્વારા તેમના બેન્ક  ખાતાના રૃા.૨.૬૪ કરોડ ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા. જેનો તેમણે ખુલાસો કર્યો ન હતો, એમ અધિકારીએ ઝણાવ્યું હતું.

કરંદીકરે ઇન્ટ્રા-ડે શેર ટ્રેડિંગમાં રૃા.૨.૬૪ કરોડનું રોકાણ કર્યું હતું. પરંતુ તેમને નુકસાન થયું હતું. હાલમાં સિવિલ ડિફેન્સ અને હોમગાર્ડમાં એસપી/ એડમિનિસ્ટ્રેશન ઓફિસર તરીકે પોસ્ટેડ કરંદીકરે આર્થિક ગુના શાખાની પૂછપરછમાં દાવો કર્યો હતો કે તેના પતિ બેન્ક ખાતાઓનું સંચાલન કરતા હતા.

એન્ફોર્સમેન્ટ ડિરેકટોરેટ (ઇડી) દ્વારા ૨૬૩ કરોડ રૃપિયાના ઇન્કમટેક્સ રિફંડ કૌબાંડમાં કેસ નોંધ્યો હતો. ચવ્હાણે અમૂક વ્યક્તિ સાથે રૃા.૩૨ કરોડની છેતરપિંડી ક રી હતી. આર્થિક ગુના શાખા દ્વારા ચવ્હાણની ધરપકડ કરવામાં આવી હતી.